ધ્રાંગધ્રાના ૩૦૦ વૃધ્ધો પેન્શનની રાહમાં!!
છેલ્લા ૧૪ માસથી સહાય ચુકવવામાં થઇ રહેલા ઠાગાઠૈયાથી 'જીવન' જીવવુ અઘરૂ : અનેક મૌખિક-લેખિત-રજૂઆતો બાદ પણ નિવેડો નહિ આવતા રોષ પ્રસર્યો
વઢવાણ તા. ૧પ :.. ધ્રાંગધ્રા શહેર, ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૩૦૦ જેટલા વૃધ્ધોને ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન સહાય લાંબા સમયથી નહી મળતા રોષની લાગણી ફેલાઇ છે.
વૃધ્ધ લોકોને સરકાર દ્વારા ઇન્દીરા ગાંધી રાષ્ટ્રીય પેન્શન સહાય યોજના અંતર્ગત દર દિને ૪૦૦ રૂપિયાની સહાય આપવામાં આવે છે, અને વૃધ્ધોના ખાતામાં સરકાર દ્વારા નાણા જમા કરાવવામાં આવતા હતાં. પરંતુ ધ્રાંગધ્રામાં સહાય મેળવવા વૃધ્ધોને છેલ્લા એક વર્ષથી વધુ સમયથી સહાય નહી મળતા રોષ છવાયો છે.
આ અંગે તંત્રને અનેકવાર રૂબરૂ અને લેખીતમાં રજૂઆત કરવા છતાં કોઇ નિવેડો નહી આવતા સહાય ઉપર જીવન જીવતા વૃધ્ધોની પરીસ્થિત દયનીય બની છે.
સહાય મેળવવા માવજીભાઇ દેવજીભાઇ પરમાર અને હિરાબેન પરમારે જણાવ્યું હતું કે, વૃધ્ધાને પેન્શન સહાયના નાણા ખાતામાં લાંબા સમયથી જમા કરવામાં નહી આવતા ધ્રાંગધ્રાના ૩૦૦ જેટલા વૃધ્ધોએ લેખીતમાં અધિકારીઓને રજૂઆત કરી છે.