કચ્છમાં કાળચક્રઃ અકસ્માતમાં પાંચ મોત-મુંદરા નજીક પિતા-પુત્ર તો રાપર નજીક બે ભરવાડ યુવતીઓના મોત, અંજાર પાસે પ્રૌઢનું મોત
મુંદરાના કપાયા ગામે ટ્રેલરે છકડાને હડફેટે લેતા પિતા-પુત્રએ જીવ ખોયોઃ રાપરના પલાસવા ગામે લગ્ન લેવાય તે પહેલા જ ભરવાડ યુવતીનું મોત
ભુજ તા.૧૪: મહાશિવરાત્રિએ કચ્છમાં ફરેલા કાળચક્રમાં પાંચ વ્યકિતઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. મુંદરાના કપાયા ગામે ભારે વાહનોની પ્રવેશબંધી છતા'યે અદાણી પોર્ટ ઉપર જતા મહાકાય ટ્રેલરે છકડાને હડફેટે લેતા પરપ્રાંતીય પિતા વિનોદપાલ લખનપાલ (ઉ.૩૫) અને તેના ૪ વર્ષીય પુત્ર અનિલનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા.
જયારે અન્ય બે વ્યકિતઓ ઘાયલ થયા હતા.
રાપરના પલાસવા ગામે ટ્રેઇલર અને પ્રવાસી પીકઅપ જીપ અથડાતા ભરવાડ સમાજની બે યુવતીઓ રામીબેન મોમાયા ભરવાડ (ઉ.વ.૨૨) અને જીવતીબેન સાંગાભાઇ ભરવાડ (ઉ.વ.૨૧)નું અરેરાટી ભર્યા મોત નીપજ્યા હતા.
મૃતક યુવતી જીવતી બેન ભરવાડના લગ્નની તૈયારીઓ ચાલતી હતી પરંતુ તે પહેલા જ તેમનુ મોત નીપજ્યુ હતુ. આ અકસ્માતમાં અન્ય દસ પ્રવાસીઓને હળવી ઇજાઓ થઇ હતી.ત્રીજો અકસ્માત અંજારના વરસામેડી ગામે થયો હતો. બોલેરો જીપ,ટાટા નેનો કાર અને બાઇકએ ત્રણ વચ્ચે સર્જાયેલા ટ્રિપલ અકસ્માતમાં બાઇક ચાલક ૪૫ વર્ષીય પોપટ ચોલા (રહે. અંજાર)નું ઘટના સ્થળે મોત નીપજ્યુ હતુ. જયારે બાઇક પાછળ બેઠેલ એક યુવાન અને ટાટા નેનોમાં સવાર ત્રણ વ્યકિતઓ સહીત ૪ને હળવી ઇજાઓ થઇ હતી.