સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 14th May 2022

કચ્‍છ-પુર્વના ૧૪ પોલીસ ઇન્‍સ્‍પેકટરોની સામુહિક બદલીઃ ગાંધીધામ એલસીબીમાં અનુભવી અધિકારી એમ.એન.રાણાની નિમણુંક

વી.કે.ગઢવી રાપર, એમ.એમ.જાડેજા કંડલા મરીન, કરંગીયાની ભચાઉ પોલીસ સ્‍ટેશનમાં બદલી કરતા જીલ્લા પોલીસ વડા મહેન્‍દ્ર બગડીયા

રાજકોટ, તા., ૧૪: રાજયમાં સૌથી મોટો ભૌગોલીક વિસ્‍તાર ધરાવતા કચ્‍છ જીલ્લાના કચ્‍છ પુર્વમાં કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ કાબુમાં રાખવાના ભાગરૂપે જીલ્લા પોલીસ વડા મહેન્‍દ્ર બગડીયા દ્વારા એક સાથે ૧૪ પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી કરતો હુકમ ગઇકાલે કરવામાં આવ્‍યો છે. જેમાં અનુભવી અને સફળ પોલીસ ઇન્‍સ્‍પેકટર એમ.એન.રાણાની ગાંધીધામ ક્રાઇમ બ્રાંચમાં નિમણુંક કરવામાં આવી છે.  
અન્‍ય ૧૩ ઇન્‍સ્‍પેકટરોની બદલીમાં સુશ્રી કે.પી.સાગઠીયાને ગાંધીધામ બી ડીવીઝનમાંથી કંડલા એરપોર્ટ ઉપર, એસ.એન.કરંગીયાને સીપીઆઇ અંજારથી ભચાઉ પોલીસ સ્‍ટેશનમાં એમ.એન.દવેને લાકડીયાથી એલઆઇબી ગાંધીધામમાં, વી.કે.ગઢવીને એલઆઇબી ગાંધીધામથી રાપર પોલીસ સ્‍ટેશન, એ.જી.સોલંકીને મહિલા ગુન્‍હા નિવારણ યુનીટથી સાયબર ક્રાઇમ પોલીસ સ્‍ટેશન, પીઆઇ એમ.એન.રાણાને રાપર પોલીસ સ્‍ટેશનથી એલસીબી ગાંધીધામ,   એમ.એમ.જાડેજાને કંડલા એરપોર્ટથી કંડલા મરીન પોલીસ સ્‍ટેશનમાં બદલાવાયા છે.
આ ઉપરાંત પી.એન.ઝીંઝુવાડીયાને સાયબર ક્રાઇમમાંથી  ગાંધીધામ બી ડીવીઝનમાં, એ.બી.પટેલને ગાંધીધામ એ ડીવીઝનમાં, એમ.એમ.ચુડાસમાને લીવ રીઝર્વથી મહિલા ગુના નિવારણ યુનીટ, એસ.ડી.સીસોદીયાને લીવ રીઝર્વથી એએચટીયુમાં, સુશ્રી એસ.કે.હુંબલને ગાંધીધામ એ ડીવીઝનથી મહિલા પોલીસ સ્‍ટેશન, આર.આર.વસાવાને ભચાઉથી લાકડીયા અને સી.ટી.દેસાઇને કંડલા મરીનથી સીપીઆઇ અંજાર તરીકે મુકવામાં આવ્‍યા છે.
ઉલ્લેખનીય છે કે કચ્‍છની મહત્‍વની ગાંધીધામ ક્રાઇમ બ્રાન્‍ચનો હવાલો જેમને સોંપવામાં આવ્‍યો છે તે પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એમ.એન.રાણાની માહીર પોલીસ અધિકારી તરીકે ગણના થાય છે. તેમણે રાજકોટ શહેર, રાજકોટ જીલ્લાની એલસીબી અને એસઓજી બ્રાન્‍ચ ઉપરાંત રાજકોટ તાલુકા પોલીસ સ્‍ટેશન, જેતપુર અને લોધીકામાં ફરજ બજાવી અનેક ગંભીર ગુન્‍હાઓનો ભેદ ઉકેલ્‍યો હતો. છેલ્લા દોઢ વર્ષથી તેઓ કચ્‍છ જીલ્લામાં નિમણુંક પામ્‍યા હતા આ દરમિયાન અંજાર પોલીસ સ્‍ટેશનમાં ૧૧ મહિનાના કાર્યકાળ દરમિયાન ૧૦ કરોડની ખંડણી માટે એક ર૦ વર્ષીય યુવતીના થયેલા અપહરણનો ભેદ ઉકેલી ૫ આરોપીઓને ઝડપી લીધા હતા. આ ઉપરાંત તેમના કાર્યકાળ દરમિયાન મોટા બુટલેગરોના લીસ્‍ટમાં સમાવિષ્‍ટ મનુભા વાઘેલા, દિવાનસિંહ જાડેજા, શીવરાજસિંહ શેખાવત, પુના ભાણા ભરવાડ અને રામા વજા ભરવાડને ઝડપી લઇ ૮૦ લાખની કિંમતનો દારૂ ઝડપી લીધો હતો. આ ગાળામાં જ અંજાર પોલીસ સ્‍ટેશનના જુના મુદામાલનો નિકાલ કરી સરકારી તિજોરીમાં એક સાથે પ૬ લાખ જમા કરાવ્‍યા હતા. આ કામગીરી બદલ રાજયના પોલીસ વડાએ તેમને ટવીટ કરી અભિનંદન આપ્‍યા હતા. આ ઉપરાંત ર૦૦૯ થી ર૦૧રના ગાળામાં કચ્‍છમાં ફરજ દરમિયાન માંડવી અને નખત્રાણામાં ૭ થી ૮ અણઉકેલ હત્‍યાઓનો ભેદ ખોલી નાખ્‍યો હતો. જેમાં સૌથી ચર્ચાસ્‍પદ વોંધના શિક્ષકની હત્‍યાનો બનાવ રહયો હતો.  જેમાં શ્રી એમ.એન.રાણાએ તલસ્‍પર્શી તપાસ હાથ ધરી શિક્ષીકાની પ્રેમીકા એવી આહીર યુવતીને ઝડપી લીધી હતી. નિંદ્રાધીન અવસ્‍થામાં જ માથામાં ધોકો મારી શિક્ષકને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. રાજકોટ શહેર અને જીલ્લાના કાર્યકાળમાં પણ તેમણે કાયદો વ્‍યવસ્‍થાની દ્રષ્‍ટિએ અત્‍યંત મહત્‍વની કામગીરી કરી હતી. આમ બાતમીદારોનું વિશાળ નેટવર્ક ધરાવતા અનુભવી પોલીસ ઈન્‍સ્‍પેકટર એમ.એન.રાણાની કચ્‍છની સૌથી વધુ મહત્‍વની ગણાતી ગાંધીગ્રામ એલસીબીમાં નિમણુંક કરવામાં આવતા તેમના ઉપર ચારેકોરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.
 

 

(1:56 pm IST)