વાંકાનેરના ચંદ્રપુર ગામે લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રીના રીમાન્ડ મંગાયા
મોરબી તા. ૧૩ : વાંકાનેરના ચંદ્રપુર ગામે ૮ હજારની લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રીને આજે રીમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરાનાર છે.
મળતી વિગતો મુજબ વાંકાનેરના ચંદ્રપુર ગામના રહેવાસી એક નાગરિકે ખરીદ કરેલ મકાનની ગામ નમુનો ૨ માં નોંધ કરવા કરવાના કામ માટે ફરિયાદી પાસેથી ૧૦,૦૦૦ રૂપિયાની લાંચની માંગ કરવામાં આવી હતી જેમાં ૮૦૦૦ રૂપિયા આપવાનું કહેતા આ મામલે ફરિયાદીએ એન્ટી કરપ્શન બ્યુરોમાં કરેલી ફરિયાદને પગલે રાજકોટ એસીબી યુનિટના આસીસ્ટન્ટ ડીરેકટર કે.એચ. ગોહિલના સુપરવિઝનમાં મોરબી એસીબી પીઆઈ આર.વાય રાવલની ટીમે છટકું ગોઠવ્યું હતું જેમાં આરોપી ચંદ્રપુર ગામનો તલાટી મંત્રી વિરેન્દ્રસિંહ હાલુભા વાઘેલા (ઉ.વ.૨૭) પાસે ફરિયાદી આઠ હજાર રૂપિયા આપવા પહોંચ્યો હતો અને એસીબી ટીમે સ્થળ પર પહોંચીને તલાટી મંત્રીને લાંચ લેતા રંગેહાથે ઝડપી લીધો હતો.
લાંચ લેતા પકડાયેલ તલાટી મંત્રીને રીમાન્ડ માટે આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે તેમ એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું.