ચોટીલા ભાજપ આગેવાન ઝીણાભાઇ ડેરવાડિયાની કાર ઉપર ફાયરીંગ કરનાર શખ્સોની શોધખોળ
ભાજપ આગેવાને સ્વરક્ષણ માટે હથિયાર મેળવવા અરજી કરી છે
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૧૨: ચુડાના મોરવાડ ગામ પાસે ચોટીલા ભાજપના આગેવાન ઝીણાભાઇ ડેરવાડિયા પર ત્રણ રાઉન્ડ ગોળીબાર કરીને બાઇક પર નાસી ગયેલા શખ્સોના કોઇ સગડ પોલીસે મળતા નથી. પૈસાની લેતીદેતીના કારણે ગોળીબાર થયાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ચોટીલાના ભાજપના અગ્રણી ઝીણાભાઇ ડેરવાડિયા કારમાં કોઇ કામસર ગાંધીનગર ગયા હતા. ત્યાંથી પરત આવી રહ્યા હતા. ત્યારે મોરવા ગામ પાસે સાઇડ આપવા બાબતેથી તકરારમાં તેમના પર ગોળીબાર થયો હતો. બાઇક પર આવેલા ત્રણ શખ્સે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. સદનસીબે ઝીણાભાઇને ઇજા થઇ ન હતી. આ બનાવ અંગે પોલીસે સઘન તપાસ શરૂ કરી છે પરંતુ હજુ સેધી ગોળીબાર કરીને બાઇક પર નાસી ગયેલા શખ્સોની કોઇ ભાઇ મળી નથી.
આ ગોળીબારની ઘટના અંગે જાત-જાતની ચર્ચા થઇ રહી છે. પૈસાની લેતીદેતીના કારણે ગોળીબાર થયાની પણ ચર્ચા ચાલે છે. બીજી તરફ ભાજપજા આગેવાન ઝીણાભાઇ ડેરવાડિયાએ હથિયાર માટે અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ઝીણાભાઇ સાથે પૈસાની લેતી દેતી બાબતે કોઇની સાથે વિવાદ ચાલતો હોવાની પણ શકયતા જોવામા આવી રહી છે. હાલમાં તપાસ ચાલુ હોવાનું પોલીસ જણાવી રહી છે.