મોરબી ગ્રામ્ય પંથકમાં ફેકટરીના પ્રદુષણને કારણે પાકને થયેલી નુકસાનીનું વળતર ચૂકવવાની માંગ.
મોરબી તાલુકાના ગાળા, હરીપર અને કેરાળાના ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં નુકસાની થઈ હોવાની રાવ: હ્યુમન રાઈટ એસો.ની મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : મોરબી તાલુકાના ગાળા, હરીપર, અને કેરાળા ગામના ખેડૂતોને ફેકટરી દ્વારા ફેલાવાતા પ્રદુષણને કારણે વ્યાપક પ્રમાણમાં પાકની નુકસાની થઈ છે. તેઓને વળતર આપવા તેમજ નુકસાનીની તપાસ કરાવી કસુરવારો સામે પગલા લેવા માટે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.
રજુઆતમાં જણાવાયું છે કે સરકારના પ્રદુષણ નિયત્રણ બોર્ડ દ્વારા પ્રદુષણના નિયમોનું પાલન કરવાની શરતે ફેક્ટરી ઉભી કરવા તેમજ ચલાવવા માટેની પરમીશન આપવામાં આવેલ છે. આ ફેક્ટરી ચાલકો દ્વારા નિયમોનો ઉલાળિયો કરીને પોતાના અંગત સ્વાર્થ ખાતર મનસ્વી રીતે ફેક્ટરી ચલાવવામાં આવે છે. અને આ ફેક્ટરી ચાલકને પોલ્યુશન બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈ જાતનું બંધન કે ચેકીગ કરવામાં આવતું ન હોવા ના કારણે અથવા તો આંખ આડા કાન કરતા હોવાના કારણે આ ફેકટરી દ્વારા ફેલાવવામાં આવતા પ્રદુષણના કારણે ખેડૂતોના કીમતી ઉભા પાકને પારવાર નુકશાન થવા પામેલ છે.
એક તરફ આ જગતનો તાત ખુબજ મોટા ખાતર, બિયારણ, પાણી, અને મજુરીના ખર્ચા કરીને જે પાક ઉગાડેલ તે પાક નિષ્ફળ જવા પામેલ છે. ખેડૂત ચિંતામાં મુકાયો છે કે હવે મારું શું થશે? મારું કોણ સાંભળશે? આ બાબતે સરકારી અધિકારીઓ દ્વારા તપાસ કરવાનો દેખાવ કરી ને રોજકામ કરેલ છે. જેમાં નુકશાન ગયેલ છે તેને બદલે નુકશાન જવાની શક્યતા છે. તેવું લખેલ છે. તેમજ જે ફેક્ટરી ચાલુ નથી થઈ તેનો ઉલેખ્ખ કરેલ છે. પરંતુ જે ફેક્ટરી ચાલુ છે. અને તેના કારણે નુકશાન થયેલ હોવાની પૂરી શક્યતા છે. તેનો ઉલેખ્ખ રોજ કામમાં કરેલ નથી. જે શંકા કરવા માટે પુરતું કારણ મળે છે. કે તપાસ યોગ્ય થશે નહિ. એ ઉપરાંત કપાસના નુકશાન થયેલ છોડના નમુના લેબોરેટરીમાં મોકલવામાં આવેલ નથી જે પણ યોગ્ય નથી. બીજું કે અન્ય પાક માં નુકશાન નથી એવું પણ લખેલ છે. જે પણ બરાબર નથી.
ખેડૂતોની માગણી છે કે આ કેશમાં કસુરવારની તપાસ કરી તેને યોગ્ય સજા કરવામાં આવે તેમજ જે ખેડૂતો ને નુકશાન ગયેલ છે. તે ખડૂતો ને યોગ્ય વળતર આપવામાં આવે. જો આવું કરવામાં નહી આવે તો અમારે ના છુટકે આ ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે. તેમ અંતમાં જણાવાયું હતું