માંગરોળ બે બેન્કના કર્મચારી સંક્રમિતઃ જુનાગઢમાં ૪દિ'માં ૭ર કેસ
(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૧: કોરોનાનું સંક્રમણ ચોમેર વધી રહ્યું છે અને તેમાં જુનાગઢ જિલ્લામાં જુનાગઢ ખાતે સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે. જુનાગઢ સીટીમાં છેલ્લા ૪ દિવસના કોરોનાના ૭ર કેસ નોંધાતા તંત્ર ચિંતીત બન્યું છે.
જુનાગઢ જિલ્લામાં ર૪ કલાક દરમ્યાન ૩૭ કેસ નોંધાયા છે. જેમાંથી ૧૮ કેસ માત્ર જુનાગઢ શહેરના છે.
જયારે કેશોદ તાલુકામાં પાંચ, વંથલીમાં ત્રણ જુનાગઢ ગ્રામ્ય, માળીયા હાટીના, માંગરોળ તેમજ વિસાવદરમાં બે-બે કેસ તેમજ ભેંસાણ, માણાવદર તથા મેંદરડામાં એક-એક કેસ નોંધાયેલ છે.
દરમ્યાન માંગરોળ ખાતે બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કર્મચારી સંક્રમિત થતા બેંકનું કામકાજ બંધ રાખવાની ફરજ પડી છે.
મહાનગર જુનાગઢમાં સંક્રમણમાં સતત વધારો થઇ રહ્યો છે. શહેરમાં સોમવારે ૧૯ કેસ મંગળવારે ૧૮ બુધવારે ૧૭ અને ગઇકાલે ગુરૂવારે ૧૮ કેસ મળી કેસ ૭ર કેસ છેલ્લા ચાર દિવસમાં નોંધાયા છે.
જુનાગઢ જિલ્લામાં કેસ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ર૦૭૯ થઇ છે.