જસદણના વેકરીયા ચોકથી પોલાર પર રોડ સુધીના ટલ્લે ચડેલા રોડનું કામ
(નરેશ ચોહલીયા) જસદણ,તા. ૧૦: જસદણમાં વેકરીયા ચોકથી પોલારપર રોડ સુધીનો રોડ જેતે તંત્ર દ્વારા અંદાજે એક વર્ષ પહેલા જ બનાવવામાં આવ્યો હતો. પરંતુ રોડ બન્યાના ગણતરીના દિવસોમાં આ રોડને તોડી રોડની સાઈડમાં ભૂગર્ભ ગટર નાંખવામાં આવી હતી.
જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોને આ રોડ પરથી પસાર થવું માથાના દુઃખાવા સમાન બની જવા પામ્યું હતું. પરંતુ બાદમાં આ રોડનું રીપેરીંગ કામ પણ કરવામાં આવ્યું ન હોવાથી દરરોજ નાનામોટા અકસ્માતોના બનાવો બની રહ્યા હતા. છતાં જવાબદાર તંત્ર દ્વારા આ રોડ પ્રશ્ને ધ્યાન અપાતું ન હતું. જેથી જેતે જવાબદાર તંત્ર દ્વારા વહેલી તકે વેકરીયાચોકથી પોલારપર રોડ સુધીના રોડની મરામત કામગીરી હાથ ધરવામાં આવે તેવી જસદણની જાગૃત જનતાની માંગણી ઉઠવા પામી હતી.
આખરે જવાબદાર તંત્ર સફાળું જાગ્યું હતું અને રોડનું કામ તડામાર શરૂ કરતા રાહદારીઓ અને વાહનચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો.