શ્રી સોમનાથ મહાદેવનાં પ્રાચીન મંદિરમાં સચવાયેલ ગજાનન પરિવારની દુર્લભ મુર્તિઓ સંગ્રહાલયનું શિરમોરસમુ ઘરેણું
(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ તા. ૧૦: સાત-સાત વખત ખંડિત-વિસર્જીત અને પ્રત્યેક વખતે અધિકાધિક નવસર્જન પામેલા વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મંદિરના નવનિર્માણ પહેલાં તેના આગલા મંદિરોના સલામત અને ભગ્ન અવશેષો સોમનાથ ટ્રસ્ટ યાત્રિક સુવિધા કેન્દ્ર-સંગ્રાહલયમાં જતન પૂર્વક સચવાયાં જેમાં વિધ્નહતાં ભગવાન ગણપતિ પરિવારની શિલ્પ મૂર્તિ ભાવિકો-સંગ્રહાલય નિહાળનારાઓ માટે વંદન-આસ્થાથી આકર્ષિત કરે છે આ મૂર્તિ નીચે પ્લેટમાં ગણપતિદાદા વિધ્ન હર્તા કેમ કહેવાયા તેના શરીરનું રહસ્ય-પંચદેવ સ્થાન અને સર્વમાન્યતાને કારણે કલામાં ગણપતિની પ્રતિમા પ્રાચીન કાળથી જ મળી આવે છે અને શિવે ગણપતિને કેમ ગણોના સ્વામિ કહ્યા છે તેનું લખાણ દર્શાવાયેલ છે.
એટલું જ નહીં વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરના દર્શન ગૃહમાં ગણપતિજી મૂર્તિ બિરાજમાન છે અને મંદિર સંકુલમાં પ્રાચીન કાળથી ગણપતિબાપાનું મંદિર આવેલું છે.
ગજાનને પંચદેવ ગણવામાં આવેલ છે જેથી સોમનાથ ટ્રસ્ટ હસ્તકના તમામ શિવ મંદિરોમાં ગજાનની દિવ્ય મૂર્તિ આસ્થા-પરંપરા સાથે વરસોથી બિરાજમાન રહેલ છે. જેમ કે અહલ્યાબાઇ સોમનાથ મંદિર સંકુલમાં પણ ગણ૫તિદાદાનું મંદિર છે.