રાજુલા પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતીની મીંટીંગ યોજાઇ
રાજુલા : પોલીસ સ્ટેશન ખાતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિંમકરસિંહના અધ્યક્ષ સ્થાને તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચૌધરી સાહેબ તેમજ રાજુલા સર્કલ પોલીસ ઇન્સપેકટર ડો.એલ.કે.જેઠવા તથા રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર એ.એમ.દેસાઇની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવેલ. જેમાં રાજુલા શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં હાલમાં હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની સાથે મુસ્લીમ સમાજનો મોહરમનો તહેવાર આવતો હોય જેથી રાજુલા શહેરમાં શાંતિમય માહોલ વચ્ચે બન્ને તહેવારોની ઉજવણી થાય તેવાં હેતુથી રાજુલા શહેરના હિન્દુ મુસ્લીમ સમાજના આગેવાનો તથા રાજુલા નગરપાલીકાના પ્રમુખ તથા વેપારી એસોશીએશનના પ્રમુખ,વિશ્વ હિન્દુ પરીષદના પ્રમુખ તથા અન્ય સમાજના આગેવાનો સાથે કાયદો અને વ્યવસ્થા બાબતે તેમજ બન્ને કોમના લોકો હળી-મળી ભાઇચારાથી તહેવારોની ઉજવણી કરે તે બાબતે ચર્ચા વિચારણા કરવામાં આવી.તેમજ કોઇપણ લોકોની આસપાસ કોઇ અનિચ્છનીય બનાવ કે અસામાજીક તત્વો દ્વારા કોઇ મુશ્કેલી જણાઇ તો તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા ૧૦૦ નંબરનો સંપર્ક કરવાં જણાવેલ.તેમજ આ તકે એસ.પી સાહેબે લોકોને જણાવેલ કે તમારો મોબાઇલ કે વાહન ચોરાઇ જાય તો પોલીસ સ્ટેશને જવાની જરૃર નથી.તમારા મોબાઇલમા સિટીઝન ફસ્ટ ગુજરાત પોલીસ નામની મોબાઇલ એપ ડાઉનલોડ કરી ઘરે બેઠા નોંધાવી શકો છો તેવી જાણકારી આપવામાં આવેલ. તેમજ હાલમાં ભારત સરકાર દ્રારા ૭૫ માં આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી થઇ રહેલ હોય જેના ભાગરૃપે દરેક નાગરીકો પોતાના ઘરે તિરંગો લહેરાવી ઉજવણી કરવાં જણાવેલ.