રપ લાખના ચેક રિટર્ન કેસમાં બોરવેલના ધંધાર્થીને એક વર્ષની સજા અને રપ લાખનું વળતર ચુકવવા હુકમ
આરોપી ૬૦ દિવસની અંદર રકમ ન ચુકવે તો વધુ એક વર્ષની સજા
રાજકોટ, તા. ૭ : રોકડા આપેલ રૂ. રપ લાખના ચેક રિટર્ન કેસમાં બોરવેલના ધંધાર્થી સાઢુભાઇને બે વર્ષની સજા અદાલતે ફરમાવી હતી.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના બાલાજી હોલની પાછળ આવેલ રામ પાર્કમાં રહેતા સંદીપભાઇ રામજીભાઇ મારકણા એ કૌટુંમ્બીક સાઢુભાઇનો સંબંધ ધરાવતા અને બોરવેલનો ધંધો કરતા સુરેશભાઇ ભીખાભાઇ પાંભર રહે. : પ્રણામી પાર્ક, શેરી નં. ૩, મવડી પ્લોટ, રાજકોટ વાળાને ઉછીના પેટે રોકડા રૂ. રપ,૦૦,૦૦૦/- અંકે રૂપિયા પચીસ લાખ પુરા મદદ માટે આપેલા હતા જે રકમ પરત આપવા બાબતે સુરેશભાઇએ તેમના ખાતા વાળી બેંકનો ચેક આપેલો હતો. જે ચેક રિટર્ન થતા ફરીયાદીએ તેમના વકીલ મારફત રાજકોટની સ્પેશીયલ નેગોશીયેબલ કોર્ટમાં ધી નેગોશીયેબલ કોર્ટના જજ શ્રી એન. એચ. વસવેલીયા કોર્ટે આરોપી સુરેશભાઇ ભીખાભાઇ પાંભર ને ધી નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ તકસીરવાન ઠરાવી સજાનો હુકમ કરેલ છે. જેમાં આરોપી સુરેશભાઇ ભીખાભાઇ પાંભર ને (૧) એક વર્ષની કેદની સજા તેમજ ચેક મુજબની રકમ સાંઇઠ દિવસમાં ફરીયાદીને ચુકવી આપવી અને જો સાંઇઠ દિવસમાં રકમ ન ચુકવે તો વધુ ૧ (એક) વર્ષની સજા નો હુકમ કરેલ છે. આ કેસમાં ફરીયાદી તરફે રાજકોટના વકીલ અતુલ સી. ફળદુ રોકાયેલા હતા.