જુનાગઢમાં ગાંધી ચોક ખાતે કેફી પીણું પીવાથીબે રીક્ષા ચાલકોના મોત પ્રકરણમાં કાર્યવાહી
સાયનાઇડ સપ્લાય કરવા અંગે બે ધંધાર્થી સામે ગુનો
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૯: જુનાગઢમાં ગાંધી ચોક ખાતે કેફી પીણું પીવાથી રીક્ષા ચાલક રફીક હસન ઘોઘારી અને ભરત ઉર્ફે જોનનું મોત થયું હતું.
મઆ પ્રકરણમાં પોલીસે કાર્યવાહી કરી સાયનાઇડ સપ્લાય કરવા અંગે બે ધંધાર્થી સામે ગુ઼નો દાખલ કર્યો છે.
શહેરનાં ગાંધીચોકમાં ર૮ નવેમ્બર ર૦રરનાં રોજ રફીક ઘોઘારી અને ભરત ઉર્ફે જોન નામના રીક્ષા ચાલકનું સોડા બોટલમાં રહેલું પ્રવાહી પીધા બાદ મૃત્યુ થયું હતું. એફએસએલ રિપોર્ટમાં બંનેના મોત પ્રવાહીમાં સોડીયમ સાઇનાઇડ નામનું કાતિલ ઝેર હોવાનું સામે આવેલ.
તપાસમાં મૃતક રફીકની પત્નીને અગાઉ આસિફ હસન ચૌહાણ સાથે પ્રેમ સબંધ હોય અને તેમાં નડતરરૂપ પતિ રફીકનો કાંટો કાઢી નાંખવા માટે આસિફ તથા મૃતકની પત્ની મહેમુદા તેમજ ઇમરાની કાસમ ચૌહાણને કાવતરૂ કરી મિત્ર ઇકબાલ ઉર્ફે આઝાદ સુલતાનને ઝેર મંગાવવા કહેલ.
આથી ઇકબાલે તેનાં જેતપુર ખાતેનાં મિત્ર યશ ચંદુ ગોંડલીયા મારફત અમદાવાદનાં કેમિકલનાં ધંધાર્થી મનોજ ગીરધારીલાલ મુલચંદાણી પાસેથી મેળવી આ સાઇનાઇડ જુનાગઢ આવી ઇકબાલ અને આસિફને આપી ગયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું.
આ મામલે ગઇકાલે બી ડીવીઝનનાં પી.આઇ. નિરવ શાહે યશ ચંદુ ગોંડલીયા તથા મનોજ મુલચંદાણી સામે સોડિયમ સાઇનાઇડ લાયસન્સ વગર રાખી આસિફ ચૌહાણ અને ઇકબાલ શેખને આપી બેદરકારીભર્યું કૃત્ય કર્યાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે કલમ ર૮૪ અને ૧૧૪ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.