મોરબી: જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે હિમોગ્લોબિન નિદાન અને સારવાર કેમ્પ યોજાયો.
મોરબી : કુદરતના અદભૂત સર્જન એવા લોહીનું, લાલ રંગના પ્રવાહી જેવું જણાતું એક ટીપું અસંખ્ય કોષો, કણો, પ્રોટિન અને અનેક જાતના રસાયણો ધરાવતું હોય છે. એક મિ.લિ. લોહીમાં આશરે ૫૦,૦૦,૦૦,૦૦,૦૦૦ રકતકણો; ૭૦,૦૦,૦૦૦ શ્વેતકણો; અને ૩૦,૦૦,૦૦,૦૦૦ ત્રાકકણો હોય છે. એક મિ.લિ. લોહીમાં રહેલ બધા રકતકણોમાં કુલ આશરે ૧૫ ગ્રામ જેટલું હિમોગ્લોબિન રહેલુ હોય છે. હીમોગ્લોબિનનો રંગ લાલ હોય છે. જેને કારણે રકતકણો અને લોહી લાલ દેખાય છે. ફેફસામાં આવેલ હવામાંથી ઓકિસજન લોહીની અંદર રકતકણમાં રહેલ હીમોગ્લોબિન સાથે જોડાઇને શરીરની અંદરની સફર શરૂ કરે છે.હીમોગ્લોબિનમાં ઉણપ સર્જાય તો શરીર ગંભીર રોગનું ઘર પણ બની શકે છે ત્યારે આ અંગેની જાગૃતિ તથા સારવાર માટે મોરબીની જે.એ.પટેલ મહિલા કોલેજ ખાતે હિમોગ્લોબિન નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીમાં જે.એ.પટેલ મહિલા ડી.એમ.એલ.ટી. કોલેજ તથા બી.ટી,સવાણી કિડની હોસ્પિટલ, કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે હિમોગ્લોબિન નિદાન અને સારવાર કેમ્પ યોજાયો હતો. આ નિદાન કેમ્પ અંતર્ગત આશરે 1000 વિદ્યાર્થીનીઓના હિમોગ્લોબીનનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ન્યૂનતમ હિમોગ્લોબિન ધરાવતી વિદ્યાર્થીનીઓને સ્તન કેન્સર, વાઇવલ કેન્સર વિશે વિગતવાર માહિતી આપવા માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે તથા સમગ્ર આયોજન માટે કિશોરભાઈ કુંડરીયા તથા શાંતિભાઈ ફળદુનો સંસ્થા પરિવાર દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.