જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા કેન્સર સેમિનાર યોજાયો
જામનગર તા ૮: જામનગરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો દ્વારા મોઢા- ગળા- હોજરી- બેનમૅરો બ્લડ કેન્સર વગેરે વિષયો પર અત્યાધુનિક સારવાર વિશેનો એક સેમીનાર યોજવામાં આવ્યો હતો. જેમાં સિનિયર ખાનગી હોસ્પિટલ ધરાવતા તબીબો, તથા જીજી હોસ્પિટલ ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ના સિનિયર તબીબોએ હાજરી આપી હતી, અને જરૂરી નવી નવી પદ્ધતિઓ વિશેની જાણકારી આપી હતી.
રાજકોટની વોકાર્ડ હોસ્પિટલ ના કેન્સર સ્પેશિયાલિસ્ટ ડૉ. પૂજાબેન તન્ના તથા ડૉ. ખ્યાતિ બેન વસાવડાએ કેન્સર વિશેષ માહિતી આપીને કેન્સરની સારવારની નવી નવી પદ્ધતિઓ વિશે અને સારવાર વિશે જાણકારી આપી હતી. જેમાં ૮૦ થી વધુ તબીબો જોડાયા હતા.
જામનગર આઈએમએ ના પ્રેસિડેન્ટ ડૉ. રાજેશ ગોંડલીયા, સેક્રેટરી ડૉ. દિનકર સાવરીયા, વાઈસ પ્રેસિડેન્ટ ડોક્ટર અલ્પેશ ચાવડા વગેરેએ આમંત્રિતોને આવકાર્યા હતા, અને સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવી હતી.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના સિનિયર સ્પેશિયાલિસ્ટ ડૉ. વિજય પોપટ, ડૉ. ડી.પી. વસાવડા, ડૉ. ભુપેન્દ્ર ગોસ્વામી, ડૉ. નીરલ મોદી વગેરે પણ આ સેમિનારમાં ચેરપર્સન તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા, અને કેન્સર વિષય પર વિશેષ પ્રકાશ પાડ્યો હતો.
જામનગરની ખાનગી હોસ્પિટલ ધરાવતા સિનિયર સ્પેશિયાલિસ્ટ ડૉ. અતુલ વેકરીયા, ડૉ. રાજેન્દ્ર વિરાણી, ડૉ. નિલેશ ગઢવી, ડૉ. સંજય પટેલ, ડૉ. શિંગાળા વગેરે તેમજ જી.જી. હોસ્પિટલના તબીબો મળીને આશરે ૮૦ જેટલા તબીબોએ સેમીનારમાં ભાગ લીધો હતો.
તબીબોના વિવિધ કેન્સર વિશેના સેમિનારમાં ચર્ચાયેલા મુખ્ય મુદ્દાઓ નીચે પ્રમાણે છે.
૧. સમગ્ર ભારત કરતાં સૌરાષ્ટ્રમાં કોરોના કાળ પછી માવા- તમાકુના કારણે મોઢાના કેન્સરમાં અચાનક વધારો જોવા મળ્યો છે, જે ચિંતાજનક છે.
૨, સેમિનારમાં હાજર રહેલા તમામ શ્રેષ્ઠ તબીબો નું માનવું હતું, કે મોઢાના કેન્સરથી બચવા માટે સતત માવા-તમાકુથી દૂર રહેવું તે જ એક ઉપાય છે.
૩, બોનમૅરો- બ્લડ કેન્સર ની અત્યાધુનિક સારવાર હવે સૌરાષ્ટ્રમાં ઉપલબ્ધ હોવાથી દર્દીઓના આયુષ્યમાં વધારો જોવા મળેલો છે.
૪, સેમિનારમાં હાજર રહેલા દરેક સ્પેશિયાલિસ્ટ તબીબોનો એક જ મત હતો, કે કેન્સર જેટલું વહેલું નિદાન થાય, તે પ્રમાણે સારવારની અસર અને આયુષ્ય રહે છે. માટે કેન્સરના નિદાન માટે રૂટીન ચેક-અપ અને નિદાન કેમ્પ કરવા જરૂરી છે.