શ્રાવણ માસ નિમિતે કેશોદના તમામ ધાર્મિક સ્થળો ભાવિકોથી ચિક્કાર
(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા. ૮ :.. સારા અને સમયસર વરસાદ ત્થા કોરોનાના ભયની લગભગ વિદાય વચ્ચે ચાલી રહેતા વર્તમાન શ્રાવણ માસ નિમિતે સ્થાનિક કેશોદના લગભગ તમામ ધાર્મિક સ્થળો ભાવિકોથી ભર્યા ભર્યા દેખાય છે. એ સાથોસાથ સબંધકા તો ધંધાર્થીઓ પણ અત્યારે પોતાના ધંધામાં ફુલગુલાબી ચિત્ર અનુભવી રહ્યા છે.
સ્થાનિક કેશોદમાં વરસો જુના ગણાવી શકાય તેવા (૧) શરદ ચોક વૈશ્ણવ હવેલી (ર) વાઘેશ્વરી મંદિર (૩) નિલકંઠ મંદિર (૪) કુતનાથ મંદિર (પ) પીપળેશ્વર મંદિર (૬) ખોડીયાર મંદિર (૭) રણછોડજી મંદિર સહિત શહેરમાં નાના-મોટા આશરે પચાસેક જેટલા હિન્દુ ધાર્મિક સ્થળો આવેલા છે. અષાડ મહિનાથી આશો મહિના સુધી ચાર માસા આ ધાર્મિક સ્થળો ભાવિકોથી ઉભરાતા હોય છે. પરંતુ કોરોનાના કારણે આ બધા સ્થળો એ છેલ્લા બે વરસથી ભાવિકોની હાજરી લગભગ નામનીજ રહી હતી.
પરંતુ આ વરસની સ્થિતિ અલગ જ છે વરસાદ સામો અને સમયસર થયો છે કોરોનાના ભયે લગભગ વિદાય લઇ લીધી છે આથી આ બધા ધાર્મિક સ્થળો ભાવિકોથી ઉભરાય રહ્યા છે. નાના-મોટા તમામ સ્થળોએ અત્યારે ભાવિકોની ભારે પ્રમાણમાં આવજા દેખાય રહી છે અને સૌ પોત પોતાની ઇચ્છાઓ અને શકિત મુજબ દાન-પુણ્ય પણ કરી રહ્યા છે. દાન મેળવવા વાળા કેટલાક લોકો તો સવારમાં છ વાગ્યામાં આવી અને બેસી જાય છે.
ધાર્મિક સ્થળોની ઉપરોકત સ્થિતિ પગલે તેના સબંધકર્તા ધંધાર્થીઓ માટે પણ અત્યારે ફુલ સીઝન ચાલી રહી છે બે વરસથી લગભગ નવરાધુપ જણાતા લારીવાળાઓ, ફેરીયાઓ, વ્યાપારીઓ વિગરે સૌ પોતપોતાના ધંધામાં ભારે વ્યસ્ત છે. ચોમાસાના કારણે અન્ય ધંધાર્થીઓ માટે ઓફ સીઝન છે. પરંતુ આ લોકો માટે ફુલ સીઝન છે અને સૌ પોત પોતાના જોગુ મેળવીલે છે.