સવારે આછી ઝાકળ વરસી, પણ તાપ વધ્યો
રાજકોટ, તા. ૮ :. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઈકાલે રવિવારે જોરદાર ઝાકળવર્ષા બાદ આજે આછી ઝાકળ છવાઈ હતી અને સવારથી ધોમધખતા તાપનો અહેસાસ થઈ રહ્યો છે.
છેલ્લા થોડા દિવસોથી મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા લોકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે.
બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો ઉંચે ચડતા અસહ્ય ઉનાળાનો અનુભવ થઈ રહ્યો છે.
બપોરના સમયે સૂર્યનારાયણ આકરા પાણીએ બન્યા હોય તેમ પારો ૩૭ ડિગ્રીને પાર થઈ જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા.
રાજકોટમાં કાલે ૨૪ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. શહેરનું લઘુતમ તાપમાન ૨૧.૨ અને મહત્તમ ૩૭.૬ ડિગ્રી નોંધાયુ હતું. સાંજે હવામાં ભેજનું પ્રમાણ માત્ર ૧૯ ટકા જ રહેવા પામેલ. આ ઉપરાંત અમરેલીમાં તાપમાન ૩૭.૮, કેશોદમાં ૩૫.૨, પોરબંદરમાં ૩૧.૪, વેરાવળમાં ૩૧.૧, દ્વારકામાં ૩૧.૨, ઓખામાં ૩૧.૫, સુરેન્દ્રનગરમાં ૩૭.૮, મહુવામાં ૩૫.૬, દિવમાં ૩૨.૩, ભૂજમાં ૩૫.૦, કંડલામાં ૩૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયુ હતું.
જામનગર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ શહેરનું મહત્તમ તાપમાન ૩૪.૮, લઘુતમ ૨૧ અને હવામા ભેજ ૯૪ ટકા તથા પવનની ઝડપ ૮.૮ કિ.મી. પ્રતિ કલાક રહી હતી.