સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 8th February 2018

ચોટીલાની હોટેલમાં બિહારી રસોઇયાનું મોત

દાઝી ગયેલા ૨૧ વર્ષના ગોવિંદ શાહુએ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડ્યો

રાજકોટ તા. ૮: ચોટીલાની હોટેલમાં પરમ દિવસે દાઝી ગયેલા મુળ બિહારના યુવાનનું રાજકોટ ખાનગી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

હાલ મઘરીખડા ગામે રહેતો અને ચોટીલામાં આવેલી યુપી-બિહાર હોટેલમાં રસોઇયા તરીકે નોકરી કરતો ગોવિંદ કલરભાઇ શાહુ (ઉ.૨૧) તા. ૬ના રાત્રે સાડા નવેક વાગ્યે હોટેલમાં રસોઇ બનાવી રહ્યો હતો ત્યારે સ્ટવ ફાટતાં ભડકો થતાં ગંભીર રીતે દાઝી જતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલમાં અને અહિથી સદ્દભાવના હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ વહેલી સવારે દમ તોડી દેતાં તેના ભાઇ તથા સાથી કર્મચારીઓમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્યુ પામનાર ગોવિંદ ચાર ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. યુનિવર્સિટી પોલીસે કાગળો કરી ચોટીલા પોલીસને જાણ કરી છે.

(11:45 am IST)