મોરબી પાલિકાના સરદાર બાગમાં લીલાછમ વૃક્ષોનું નિકંદન : વૃક્ષપ્રેમીઓમાં રોષ
(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબી,તા.૭: નગરપાલિકાના પ્રીમાઈસીસમાં આવેલ સરદારબાગમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે કેટલાક વૃક્ષો મૂળથી કાપી નાખવામાં આવ્યા છે જે મામલે નગરપાલિકાના કોંગ્રેસી સદસ્ય અને યાર્ડના ડીરેકટર કે પી ભાગિયાએ પાલિકાના ચીફ ઓફિસરને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે શહેરના વૃક્ષપ્રેમીઓની રજૂઆતને ધ્યાને લેતા મોરબી નગરપાલિકા હસ્તકના સરદાર બાગમાં તપાસ કરતા વૃક્ષો કપાત થયાની હકીકત ખરી હોવાની માલૂમ પડી છે.
વૃક્ષારોપણ અને વૃક્ષોનું જતન રાજય સરકારની નીતિ રહી છે વૃક્ષો કાપવા એ ગેરકાયદેસર કૃત્ય અને કાયદાના ભંગ સમાન છે સરદાર બાગ કમ્પાઉન્ડ હદમાં બગીચા જાળવણી માટે મસમોટો ખર્ચ કરવામાં આવે છે પરંતુ લીલાછમ વૃક્ષો કાપવામાં આવ્યા છે અને ૫ થી ૭ વૃક્ષો જડમૂળથી કાપવામાં આવ્યા છે જેથી સ્થળ પર તપાસ કરીને ૨૦ વર્ષ જુના વૃક્ષોનું નિકંદન નિહાળી વૃક્ષપ્રેમીઓ રોષે ભરાયા છે જેથી આવું કૃત્ય કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી છે.
આ અંગે ચીફ ઓફીસર ગીરીશભાઈ સરૈયાએ જણાવ્યું હુતું કે રાત્રીના સમયે બગીચામાં લાઈટીગ સમસ્યા થતી હોવાથી વૃક્ષની ડાળખીઓ મેં જ કાપવાનો આદેશ કર્યો છે વૃક્ષો કાપવામાં આવ્યા નથી.