નારી ગૌરવ દિવસ અંતર્ગત જૂનાગઢ જિલ્લામા વિવિધ તાલુકાઓમાં લોકાર્પણ તથા ભૂમિપૂજન કરાયા
જૂનાગઢ તા.૭ : જિલ્લામાં વિવિધ તાલુકા કક્ષાએ નારી ગૌરવ દિવસની ઉજવણી તા.૪ ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.જેમાં તાલુકાઓમાં કુલ ૨૬ આંગણવાડીઓનું લોકાર્પણ મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ તેમાં ૧૧ આંગણવાડીઓના મકાન બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નારી ગૌરવ દિવસ નિમિત્ત્।ે કરાયેલ ઉજવણી અંતર્ગત ભેંસાણ ઘટકમાં મુખ્ય સેવિકાઓના બે સેજા કચેરીનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. જેમાં માણાવદર તાલુકાના ધારાસભ્યશ્રી દેવાભાઈ માલમ દ્વારા આંગણવાડીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
વિસાવદર ઘટકમાં ઢેબર ગામે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શાંતાબેન ખટારીયા દ્વારા લોકાર્પણ કરાયું હતું. તેમજ ભેસાણ તાલુકાના રાણપુર ગામે જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના અધ્યક્ષ શ્રી ભાનુબેન ગુજરાતીના હસ્તે સેજા કચેરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વિરપુર ખાતે જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી વિપુલભાઈ કાવાણી દ્વારા આંગણવાડી કેન્દ્રનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે,જુદા-જુદા તાલુકાઓમાં જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેનશ્રી,કારોબારી અધ્યક્ષશ્રી તેમજ સદસ્યશ્રી તથા સરપંચશ્રીઓના હસ્તે નારી ગૌરવ દિવસ નિમિત્ત્।ેની ઉજવણી અંતર્ગત લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.