૧૧મી સુધી ગિરનાર રોપ-વે બંધ
મહાશિવરાત્રીમાં સંક્રમણ ન ફેલાય તે માટે નિર્ણય
(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ, તા. ૫ :. જૂનાગઢમાં આજથી આગામી ૧૧ માર્ચ સુધી ગિરનાર ટેમ્પલ રોપ-વે બંધ રહેશે.
આગામી તા. ૭ માર્ચથી જૂનાગઢના ભવનાથ ખાતે શિવરાત્રી મેળો યોજાનાર હતો, પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઈને શિવરાત્રી મેળો રદ્દ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. જો કે સાધુ-સંતો દ્વારા ધાર્મિક પરંપરા નિભાવવામાં આવશે. ૭ માર્ચે ભવનાથ મંદિર પર ધ્વજારોહણ બાદમાં શિવરાત્રીએ રવાડી, શાહી સ્નાન અને પૂજન-અર્ચન સહિતના ધાર્મિક કાર્યક્રમો સાધુ-સંતો દ્વારા યોજાશે. જેમાં ભાવિકોને પ્રવેશ આપવામાં આવશે નહી. આથી લોકોને ઘરે રહી શિવરાત્રી મેળો કરવા સાધુ-સંતો અને તંત્રએ અનુરોધ કર્યો છે.
દરમ્યાન જૂનાગઢમાં આજથી ગિરનાર રોપ-વે પણ બંધ કરવામાં આવ્યો છે. મહાશિવરાત્રીએ સંક્રમણ ન ફેલાય તે માટે ગિરનાર ટેમ્પલ રોપ-વે આગામી તા. ૧૧ માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.