વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજ્ય સરકાર હરહંમેશ દરેક સમાજની પડખે : ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રીની ૧.૫૦ લાખ હિમોગ્લોબીન પીલ્સથી તુલા કરી ઉમિયાધામની સ્વસ્થ સમાજના નિર્માણની દિશામાં નવીન પહેલ : ઉમિયાધામના સર્વાંગી વિકાસ માટે ૧૮.૨૫ કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપતા ભૂપેન્દ્રભાઈ : ‘સૌનો સાથ, સૌનો વિકાસ'ના મંત્રને ગુજરાતે સાર્થક કરી દરેક સમાજને વિકાસની રાહ ચીંધી છે : મુખ્યમંત્રીᅠભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતે દશાબ્દી મહોત્સવની ભવ્ય ઉજવણી
( દર્શન મકવાણા - મુકુંદ બદીયાણી દ્વારા)જામનગર-જામજોધપુર તા. ૪ : મુખ્યમંત્રીᅠ ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, વિકસિત અને શક્તિશાળી ગુજરાતનું નિર્માણ થાય તે માટે રાજય સરકાર હરહંમેશ હરેક સમાજની પડખે ઉભી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતમાં, જામજોધપુર તાલુકાના ઉમિયા માતાજી મંદિર સિદસર ખાતેᅠ ઉમિયા માતાજી મંદિરનો રજત જયંતિ મહોત્સવ સ્મૃતિ સમારોહ તથા નવનિર્મિત ઉમિયાધામનો દિવ્ય અને ભવ્ય લોકાર્પણ સમારોહ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઉમિયા માતાજીના દર્શન કરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. નરેન્દ્રભાઈ મોદીની સૌને સાથે લઈ આગળ વધવાની નેમને રાજય સરકાર આગળ ધપાવી રહી છે. ઉમિયાધામ સંસ્થા દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ સહિતના ક્ષેત્રે સેવાનો યજ્ઞ શરૂ કરાયો છે ત્યારે રાજય સરકારે પણ આ સંસ્થાને વિકાસની રાહમાં મદદરૂપ થવા યાત્રાધામ વિકાસ માટે પહેલા ૩ કરોડ અને ત્યાર બાદ હવે ૧૮.૨૫ કરોડની રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ તકે પ્રાકૃતિક ખેતી તરફ વળવાનું સૂચન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે અનેક રોગોના મૂળમાં રાસાયણિક ખેતીથી ઉત્પન્ન થતા ખેત પેદાશ જવાબદાર છે ત્યારે આરોગ્યપ્રદ સમાજ ઉભો કરવા પ્રાકૃતિક ખેતી તરફ વળવું ખૂબ જ આવશ્યક છે.રાજય સરકાર પણ પ્રાકૃતિક કૃષિને પૂરતું પ્રોત્સાહન આપી રહી છે અને તે ઉત્પાદનને ખરીદનાર યોગ્ય બજાર પણ ગુજરાતમાં ઉપલબ્ધ બની રહ્યું છે.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજાએ ઉમિયા માતાજી મંદિરના ભવ્ય ઐતિહાસિકને વાગોળ્યો હતો તેમજ ઉમિયાધામ મંદિરના વિકાસ માટે રાજય સરકાર તમામ રીતે મદદરૂપ થવા કટિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.કાર્યક્રમમાં ઉમિયાધામ ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીશ્રીની ૧.૫૦ લાખ હિમોગ્લોબીન પિલ્સ વડે તુલા કરી આરોગ્યપ્રદ સમાજના નિર્માણ માટે એક નવતર પહેલ કરી હતી.આ તકે ઉમિયાધામના ટ્રસ્ટીશ્રી જેરામભાઈᅠ વાસજાળીયાએ મંદિર પરિસરના નિર્માણ કાર્યોના દાતાશ્રીઓના નામ જાહેર કર્યા હતા જે દાતાઓનું મુખ્યમંત્રીશ્રીએ સન્માન કરી અભિવાદન કર્યું હતું.
આ પ્રસંગે ઉમિયાધામ સિદસરના પ્રમુખશ્રી જેરામભાઈ વાસજાળીયા,પૂર્વ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા, શ્રી ઉમિયા માતાજી મંદિર સંસ્થા - ઉંઝાના પ્રમુખશ્રી બાબુભાઈ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખᅠશ્રી વેલજીભાઈ શેટા, ધારાસભ્ય શ્રી ધનજીભાઈ પટેલ તથા ચિરાગભાઈ કાલરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, જિલ્લા કલેકટર ડો.સૌરભ પારદ્યી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી મિહિર પટેલ, શ્રી જીવણભાઈ ગોવાણી, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી ધનજીભાઈ પટેલ, શ્રી મણીભાઈ વાછાણી, શ્રી જયસુખભાઇ પટેલ, શ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી મગનભાઈ જાવિયા, શ્રી વજુભાઈ માણાવદરિયા,માણાવદરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.