ભવનાથનો શિવરાત્રી મેળો મોકૂફ : સાધુ સંતોની બેઠક મળી : પોલીસ દ્વારા આગોતરૂ આયોજન
જૂનાગઢ : જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, જૂનાગઢ સર્કલ પી.આઈ. પી.એન.ગામેતી તથા ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.કે.વાજા, રીડર પીએસઆઇ આર.કે.સાનિયા તથા સ્ટાફના હે.કો. રામદેભાઈ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા ભવનાથ વિસ્તારના સાધુ સંતો સાથે ભવનાથ મંદિર ખાતે એક મિટિંગનું આયોજન કરી, તેઓના પ્રશ્નો સાંભળવામાં આવેલ હતા. આ મિટિંગમાં ઇન્દ્રભારતી બાપુ, મહાદેવગીરી બાપુ, રામગીરી બાપુ, મહાદેવભારતી બાપુ, કિશોરપરી બાપુ, સહિતના આશરે ૫૦ જેટલા સંતો મહંતો પણ હાજર રહેલા હતા. ચાલુ સાલે મહા શિવરાત્રી મેળો રદ્દ કરવામાં આવેલ હોઈ, બહારથી આવતા લોકોને મનાઈ ફરમાવવામા આવેલ હોઈ, સાધુ સંતો દ્વારા પણ લોકોને મેળામાં નહીં આવવા વિનંતી તથા અપીલ કરવામાં આવેલ છે. હાલના સંજોગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા વહીવટી તંત્ર દ્વારા લોકોના હિતમાં મહા શિવરાત્રી મેળો બંધ રાખવામાં આવેલ હોઈ,જૂનાગઢ પોલીસ દ્વારા અત્યારથી આગોતરું આયોજન કરી, લોકોને જાણ કરી, જૂનાગઢ પોલીસની સકારાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે.