મોરબી સિરામીક એસોશિએશન જયસુખ પટેલના સમર્થનમાં આવ્યું
અજંતા મેન્યુફેક્ચર-ઓરપેટ ટ્રસ્ટને પત્ર પાઠવી મોરબી સિરામીક પરિવાર હમેશા આપના સહકારમાં હોવાનો સધિયારો પાઠવ્યો
મોરબી ઝૂલતા પૂલ કેસમાં પોલીસ કસ્ટડીમાં રહેલા અજંતા – ઓરવા કંપનીની એમડી જ્યંસુખ પટેલને સોશ્યલ મીડિયામાં ભરપૂર સમર્થન મળી રહ્યું છે. અનેક વિધ સંસ્થાઓ અને લોકો પોતાનું જયસુખ પટેલને સમર્થન જાહેર કર્યું છે.ત્યારે મોરબી સીરામીક એસોસિએશનની ચારેય પાંખના પ્રમુખોએ જયસુખભાઈ પટેલ અને તેમના પિતાએ કરેલા સમાજ ઉપયોગી કાર્યો તેમજ તેમણે સમાજમાં માટે કરેલા સારા કાર્યોને યાદ કરીને તેમને સમર્થન આપ્યું છે.
મોરબી સીરામીક એસોસિએશનના વીટ્રીફાઇડના પ્રમુખ એમ.આર.કુંડારિયા, ફ્લોર ટાઇલ્સના પ્રમુખ વિનોદ ભાડજા, વોલ ટાઇલ્સના પ્રમુખ હરેશ બોપલીયા અને સેનેટરીવર્સના પ્રમુખ કિરીટ પટેલે જણાવ્યું હતું કે, આશરે ત્રણ માસ પહેલા મોરબીમાં ઝુલતા પુલની જે દુર્ઘટના બની તે ખુબ જ દુ:ખદાયક અને કમનસીબ ઘટના હતી.આ ઘટનામા અકાળે મૃત્યુ પામેલા સ્વજનો પ્રત્યે અમારી ભારોભાર લાગણી રહેલી છે. સર્વે સ્વર્ગસ્થ હુતાત્માંઓને સમગ્ર સિરામિક પરિવાર શ્રધ્ધાંજલી પાઠવે છે.
આ ઘટનામા ભોગ બનેલા તમામ પરિવારો પ્રત્યે તેઓ સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ ઘટનામાં અસરગ્રસ્ત 35 જરુરિયાત મંદ પરિવારોના દુઃખમાં સહભાગી બની એક વર્ષ સુધી દર મહિને જરૂરી રાશન કીટ પહોંચાડવાની વ્યવસ્થા સિરામિક પરિવાર દ્વારા કરીએ છીએ તેમજ દુઃખની ઘડીએ મોરબી સિરામિક પરિવાર અપાર દુઃખની લાગણી વ્યક્ત કરી છીએ.
પત્રમાં જણાવાયું છે કે, જયસુખભાઈ પટેલના પિતા ઓધવજીભાઇ પટેલ અને જયસુખભાઈ હંમેશા તમામ જ્ઞાતિ, જાતી અને તમામ વર્ગના લોકોને હંમેશા સાથ- સહકાર આપતા રહ્યા છે. તેમનીની સેવા અને પરોપકારની ભાવના માટે દરેક સમાજના લોકોને તેમના પ્રત્યે આદર ભાવના સાથે રુણી છે. તેઓએ કન્યાકેળવણીના માધ્યમ થકી તમામ જ્ઞાતિ જાતીની દીકરીઓને શિક્ષણ આપવાનું ભગીરથ કાર્ય મોરબીમાં કન્યા છાત્રાલયમાં કરેલું છે જેનાથી સર્વ સમાજ વિદિત છે. મોરબીની આજુબાજુના ગામડામાં અને શહેરમાં જ્ઞાતિ-જાતિનો ભેદ રાખ્યા વગર ઓરેવામાં રોજગાર આપવાનુ કામ કર્યુ છે.
વિશેષમાં ખેડૂતોના ઉત્થાન માટે ઓરપેટ ટ્રસ્ટ દ્વારા જળક્રાંતિ માટે ગામો ગામ ખેત તલાવડા, ચેકડેમ અને વોટરશેડના કાર્ય દ્વારા સમગ્ર ખેડૂત સમાજને સધ્ધર કરવા માટે જે કાર્ય કરેલુ છે તે હજુ પણ લોકો સમરી રહ્યા છે.સમુહલગ્ન, કન્યા કેળવણી, રોજગાર, સ્કોલરશીપ, જેવા અનેક કાર્યો આપના થકી થતા રહ્યા છે. તેઓએ હંમેશા દાનની સરવાણી વહાવીને સતત સામાજીક સેવામાં અગ્રેસર રહ્યા છે. આથી જયસુખભાઈની સેવાકીય પ્રવૃતિ અને સમાજસેવા માટે સીરામીક પરિવાર હંમેશા આભારી હોવાનું અને આ રુણ ચુકવી નહી શકીએ તેમ જણાવી મોરબી સિરામિક પરિવાર હંમેશા આપના સહકારમાં રહ્યો છે અને રહીશુ તેમ અંતમાં જણાવ્યું હતું.