કાલથી સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા મિલેટ મહોત્સવ-મિલેટ સપ્તાહ ઉજવાશે
દેશ-વિશ્વના યાત્રિકો પ્રવાસીઓને સોમનાથ ટ્રસ્ટના નિઃશુલ્ક ભોજનાલય (અન્નક્ષેત્ર) ખાતે પીરસાશે પોષકતત્વોની થાળી
(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ,તા. ૪ : વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તા ૫ ફેબ્રુઆરી રવિવારના સાંજના ૭:૩૦ થી મિલેટ મહોત્સવ -મિલેટ સપ્તાહ ઉજવણી પ્રારંભ કરશે.
સોમનાથ ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઇ તથા જનરલ મેનેજ વિજયસિંહ ચાવડાએ આ અંગે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધેલ છે.
દેશના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટ અધ્યક્ષ નરેન્દ્રભાઇ મોદીના આહવાન અનુલક્ષી સમગ્ર વિશ્વમાં ચાલુ વર્ષને મિલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે સોમનાથ તીર્થમાં આવતા યાત્રીાઓને પણ સોમનાથ ટ્રસ્ટ દ્વારા જાડા અનાજની વાનગીઓ સમગ્ર સપ્તાહ દરમ્યાન પીરસવામાં આવનાર છે.
આ મહોત્સવ-સપ્તાહનું ઉદઘાટન સોમનાથ ટ્રસ્ટના લાખો યાત્રિકોની સેવામાં ચાલતા વીનામૂલ્યે ભોજનાલય (અન્નક્ષેત્ર) ખાતે કરવામાં આવશે. અને આ રીતે પ્રાચીન અને પોષક આહારપ્રણાલીને ભારતીય થાળીમાં પુનઃ પ્રવેશ પ્રારંભ કરાશે.
બરછ્ટ અને જાડા અનાજમાં કેલ્શીયમ, પ્રોટીન, અને અન્ય કેટલાય પોષકતત્વો ઔષધીય ગુણો ધરાવતા હોય છે તેવી પણ માન્યતા છે.
સોમનાથને આંગણેથી થતો આ પ્રસાર યાત્રિકો દ્વારા દેશ-વિશક્ષ્વના ખૂણે ખૂણેમાં પહોંચશે જેથી સાત્વીક-રોગપ્રતિકારક શકિત વધારનાર અને પોષકતત્વો પ્રત્યે લોકજાગૃતિ આવશે.