દારૂ-ડ્રગ્સે કરોડપતિ અને ગરીબ પરિવારોનો વિનાશ કર્યો : પૂ.હરિપ્રકાશ સ્વામી
સુરતમાં શ્રી હનુમાન ચાલીસા કથામાં ત્રીજા દિવસે હજારો ભાવિકો ઉમટયાઃ કથા શ્રવણનો લાભ લીધો
વાંકાનેર,તા. ૩ : સુરતના ઉત્રાણ સ્થિત ગજેરા ગ્રાઉન્ડમાં શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે કથાનો ત્રીજો દિવસ છે અને કથા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. ત્યારે વડતાલ ગાદીના લાલજી મહારાજ સૌરભપ્રસાદ પણ કથા શ્રવણ માટે ઉપસ્થિત રહ્યા હતા.
શ્રીહનુમાન ચાલીસા યુવા કથાનો આજે ત્રીજો દિવસે સાળંગપુરના હરિપ્રકાશદાસ સ્વામી કથાનું રસપાન કરાવ્યું હતું. આ માટે કથા સ્થળે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતાં. કષ્ટભંજન દાદાની જયના નારા સાથે કથા ગ્રાઉન્ડ ગુંજી ઉઠયું હતું. સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો રાષ્ટ્રગાન બાદ કથાની શરૂઆત કરવામાં આવી હતી. આ પછી હરિપ્રકાશ સ્વામીને ઠાકોરજી માટે બે ભક્તોએ સોનાના વાઘા અને મુગટ અર્પણ કર્યા હતાંᅠ
મહત્વનું છે કે આ હનુમાન ચાલીસા યુવા કથા ની અંદર વ્યાસપીઠ પરથી ઓડિશામાં થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
હરિપ્રકાશ સ્વામીએ વ્યાસપીઠ પરથી યુવાઓને વ્યસનથી દૂર રહેવા હાંકલ કરી. કહ્યું: દારુ અને ડ્રગ્સે કરોડપતિ અને ગરીબના પરિવારનો વિનાશ કર્યો છે. આ ઉપરાંત હરિપ્રકાશ સ્વામીએ કહ્યું કે, ‘અત્યારે મોટાભાગના યુવાઓ દેખાદેખીને લીધે વ્યસન કરે છે. જેને લીધે નાની ઉંમરે તેમને કેન્સર જેવી બીમારી થાય છે. જેને લીધે વ્યસન કરનાર અને તેના પરિવારના લોકો મુશ્કેલીમાં મૂકાય છે. આ ઉપરાંત કેટલાક લોકો આપણી દીકરીઓને લવ જેહાદનો શિકાર બનાવે છે. આપણે મહારાણા પ્રતાપ, છત્રપતિ શિવાજી મહારાજ અને સરદાર વલ્લભભાઈ પટેલની પેઢી છીએ. આપણાં યુવાઓ વ્યસનથી દૂર રહે અને આપણા સંસ્કાર સંસ્કૃતિને અનુસરે એવી હાંકલ કરું છું.'