મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં જામીન અરજીની સુનાવણી ૪ ફેબ્રુઆરીએ થશે
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબી ઝૂલતો પુલ કેસમાં આરોપી જયસુખ પટેલના બુધવારે રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હોય ત્યારે અગાઉ ઝડપાયેલ નવ પૈકી સાત આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી જે જામીન અરજી પર આજે બંને પક્ષે પોતાની દલીલો રજુ કરી હતી અને હવે તા. ૪ના રોજ જામીન અરજી પર વધુ સુનાવણી કરવામાં આવશે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં અગાઉ ઝડપાયેલા નવ પૈકી સાત આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી કરી છે આરોપી મેનેજર દીપક પારેખ, દિનેશભાઈ દવે, અલ્પેશ ગલાભાઈ ગોહિલ, દિલીપ ગલાભાઈ ગોહિલ, મુકેશ દલસિંગ ચૌહાણ મનસુખભાઈ વાલજીભાઈ ટોપિયા અને માદેવભાઈ લાખાભાઈ સોલંકી એમ સાત આરોપીઓએ જામીન માટે અરજી કરી હતી જેમાં કોર્ટમાં બંને મેનેજર વસ્તુના ખરીદ વેચાણ કરવાનું અને બીલ ચુકવણી કરવાનું હતું તેમજ બીજા મેનેજરને કોન્ટ્રાકટ પર ધ્યાન રાખવાનું હતું પુલ ચાલુ કરવો તે અંગે નિર્ણય લેવાની તેમની પાસે સત્તા ના હતી. જયારે સિકયુરીટી ગાર્ડ લોડીંગ અને અનલોડીંગ કર્મચારી હતા જેને સિકયુરીટી તરીકે મુકવામાં આવ્યા હતા જે સિકયુરીટી ગાર્ડે કેટલા લોકોને જવા દેવા તેવી સુચના આપી ના હતી સહિતની દલીલો કરવામાં આવી હતી.
મોરબી કોર્ટે બંને પક્ષની દલીલોને સાંભળી હતી અને આગામી તા. ૪ની મુદત પડી છે ત્યારે હવે જામીન અરજીની વધુ સુનાવણી તા. ૪ ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે અને તે દિવસે જામીન અરજી પર ફેસલો આવે છે કે વધુ એક મુદત પડે છે તે જોવું રહ્યું