ખુંટીયા સાથે બાઇક અથડાતાં ધોરાજી પાટણવાવના અનિલભાઇ પટેલનું મોત
રાજકોટ હોસ્પિટલમાં મૃત્યુ થતાં પેથાણી પરિવારમાં ગમગીની
રાજકોટ તા. ૨: ધોરાજીના પાટણવાવ અને કાથરોટા વચ્ચેના રોડ પર ખુંટીયા સાથે બાઇક અથડાતાં બાઇકચાલક પાટણવાવના પટેલ આધેડને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું.
જાણવા મળ્યા મુજબ પાટણવાવ રહેતાં અનિલભાઇ કાંતિભાઇ પેથાણી (પટેલ) (ઉ.વ.૪૭) તા. ૨૯/૧૧ના રોજ બાઇક હંકારી સાંજે સાડા સાતેક વાગ્યે પાટણવાવ અને કાથરોટા વચ્ચેના રસ્તા પરથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે એકાએક ખુંટીયો દોડી આવતાં અને બાઇક સાથે અથડાતાં અનિલભાઇ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થતાં ઉપલેટા, જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ આજે વહેલી સવારે અનિલભાઇએ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેઓ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવને પગલે સ્વજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને ભાવેશભાઇએ પ્રાથમિક કાર્યવાહી કરી પાટણવાવ પોલીસને જાણ કરી હતી.