તાલાલા ગીરમાં ૬ મિનિટની અંદર ભૂકંપના બે આંચકા
૪ અને ૩.૨ની તીવ્રતાથી ધરા ધ્રુજતા લોકોમાં ગભરાટ લાંબા સમય પછી ગીર સોમનાથ જિલ્લામાં ધરતીકંપના આંચકા અનુભવાયા
રાજકોટ તા.૨ : ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ગીર માં ૬ મિનિટની અંદર ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરને અહેવાલમાં જણાવાયું છે કે તાલાલા તાલુકામાં વહેલી સવારે ભૂકંપના ૨ આંચકા અનુભવાયા છે. સવારે ૬ વાગ્યે અને ૫૮ મિનિટે તાલાલાની ધરતીમાં ધ્રુજારી થઈ હતી. સિસ્મોલોજી ડિપાર્ટમેન્ટ અનુસાર ૪ ની તીવ્રતાનો રિક્ટર સ્કેલ પર ભૂકંપ નોંધાયો છે. આ ભૂકંપ બાદ ૭.૦૪ વાગ્યે ફરી ૩.૨ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ભૂકંપના આંચકાથી ભરઊંઘમાં રહેલા લોકો સફાળા જાગ્યા હતા, અને ઘરની બહાર દોડી આવ્યા હતા.ᅠ
ગીર સોમનાથ જિલ્લામાં ભૂકંપના આંચકા સામાન્ય છે. ત્યારે વધુᅠ બે વાર તાલાલામાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે સવારે તાલાલામાં ૪ ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલાથી ૧૩ કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયુ હતં. તાલાલાનાં ધાવા ગીર સહિતના ગામોની અંદર ભૂકંપની સૌથી વધારે અસર અનુભવાઇ છે. તાલાલાની સાથે જૂનાગઢના દેવળિયામાં પણ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.ᅠ
સવારે ૬.૫૮ વાગ્યે આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જોકે, નુકસાન થયું હોવાના હજુ સુધી કોઈ સમાચાર નથી.