ઘેલા સોમનાથના વિકાસ માટે બેઠક મળી
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨ : જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને રાજકોટ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં જસદણ નજીકના ઐતિહાસિક ઘેલા સોમનાથ મંદિરનો સર્વાંગી વિકાસ કરવા પર ભાર મુકવામાં આવ્યો હતો.
કલેક્ટર કચેરી ખાતે આયોજિત બેઠકમાં જસદણના પ્રાંત અધિકારી રાજેશ આલએ ઘેલા સોમનાથ મંદિરમાં તેમજ પરિસરમાં જરૂરી રીપેરિંગ, નવું પેવિંગ, પ્રદક્ષિણા પથ તૈયાર કરવા, ધજા ચઢાવી શકાય તેવી વ્યવસ્થા, લાઇટ એન્ડ સાઉન્ડ શો, યજ્ઞશાળાનો વિકાસ, મંદિર પાસેના ત્રિવેણી ઘાટ તેમજ ગૌશાળાનો વિકાસ, ઘેલો નદી ખાતે પિતળઓની તર્પણ સહિતની વિધિ થઈ શકે તે માટે સ્નાનઘાટ તૈયાર કરવા, વેબસાઈટને અદ્યતન બનાવવા સહિતના વિકાસકામો અંગે અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠકમાં અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કર, જિલ્લા આયોજન અધિકારી, માર્ગ અને મકાન વિભાગ, ભારતીય પુરાતત્વ વિભાગ, પ્રવાસન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ જોડાયા હતા.