કેન્દ્રીય બજેટથી ભારત દેશનો સર્વાંગી વિકાસ થશે : ડો.ભરતભાઇ બોઘરા
(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૨: કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા બજેટને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ આવકારતા જણાવ્યું હતું કે આ બજેટથી દેશનો સર્વાંગી વિકાસ થશે. આ બજેટમાં મહિલાઓ માટે વિશેષ બચત યોજના રજૂ કરવામાં આવી છે જેથી મહિલાઓ વધારે બચત કરશે અને સ્વાવલંબી બનશે. આ ઉપરાંત કૃષિ અને પશુપાલન માટે પણ બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. સીનીયર સીટીઝન માટે બચત યોજનામાં મર્યાદા વધારીને ૩૦ લાખ રૃપિયા કરવામાં આવી છે. ગરીબો માટે એક વર્ષ સુધી મફત અનાજ ઉપરાંત હીરા ઉદ્યોગ માટે લેબગ્રોન હીરાની હયાત પર પાંચ ટકા ડ્યુટી હતી તે નાબૂદ કરવામાં આવી છે જેનાથી સૌરાષ્ટ્રભરમાંઙ્ગ પથરાયેલાઙ્ગ હીરા ઉદ્યોગને મોટો ફાયદો થશે. આ બજેટ દેશના સર્વાંગી વિકાસ અને દેશને એક વિકાસની નવી ઊંચાઈ પર લઈ જવા માટેનું સમાજના દરેક વર્ગ માટે કલ્યાણકારી બજેટ હોવાનું ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ અંતમાં જણાવ્યું હતું.