જૂનાગઢમાં ફાયનાન્સની રકમ ના ભરી બારોબાર ટ્રક વેંચી મારવાનું કૌભાંડ
પાંચ શખ્સો સામે વિશ્વાસઘાતની ફરિયાદ
(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧ : જૂનાગઢમાં ફાયનાન્સની રકમના ભરી બારોબાર ટ્રક વેંચી મારવાનું કૌભાંડ પાંચ શખ્સોએ આચર્યું હોવાની ફરિયાદ થતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામના ગાંગાભાઇ રણમલભાઇ પરમારનો જીજે-૧૮-એટી-૯૩૯૩ નંબરનો ટ્રક જૂનાગઢનો અંકિત ભુપતભાઇ કાનપરાએ વેંચાણ કરારથી મેળવેલ.
પરંતુ આ શખ્સે ફાયનાન્સની રકમ ના ભરી અમીન મિંયા મોહમદ મિંયા મટારી પાસે ટ્રકની ચેસીસનાં નંબર બદલી નાંખ્યા હતા.
તેમજ કલમ બદલીને ચાલુ ફાયનાન્સ વાળી ટ્રક નં. જીજે-૧૧-વાય-૫૫૨૦ વાળી નંબર પ્લેટ લગાડી પ્રતાપ રામભાઇ ભોગેસરા, કેશુ રામભાઇ સોગેસરા અને ટ્રક દલાલ અનવરખાન નુરખાન બ્લોચનાં મારફતે યોગેશ ભીખાભાઇ કાચાને ટ્રક વેંચીને માર્યો હતો.
આ અંગે ગુરૂવારની રાત્રે ગાંગાભાઇ પરમારે ફરિયાદ કરતાં જૂનાગઢ તાલુકા પોલીસે તમામ શખ્સો વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડીનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી.
વિશેષ તપાસ પી.એસ.આઇ પી.વી.ધોકડીયા ચલાવી રહ્યા છે.