Gujarati News

Gujarati News

News of Saturday, 31st October 2020

લાલપુરમાં નાની બાળકીને કૌટુંબિક ભાઈએ પીંખી નાખી

નવ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરાયું : આરોપીને ઝડપવા પોલીસના ચક્રોગતિમાન, સગીરાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ કરીને આરોપી ફરાર

જામનગર, તા. ૩૦ : હૈદરાબાદની હાથરસ દુષ્કર્મ કેસના પડઘા આખા દેશમાં પડ્યા અને આ કેસમાં આરોપીઓ પર આખા દેશમાં ફિટકાર વરસ્યો ત્યારે ગુજરાતના બનાસકાંઠામાં એક મૂકબધિર સગીરા સાથે બળાત્કાર અને હિંચકારી હત્યાથી રાજ્યમાં લોકો આવા નરાધમ આરોપીઓને કડકથી કડક સજા ફટકારવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે. ત્યારે દુષ્કર્મ  અને છેડતીની ઘટનાઓથી તંગ આવી મહિલાઓથી લઇ કિશોરીઓ પણ પોતાના આત્મરક્ષા માટે સરકાર પાસે હથિયાર રાખવાની પરવાનગી માંગી રહી છે. આટલા સખત આક્રોશ વચ્ચે પણ કેટલાક નરાધમીઓ પોતાના અધમ કૃત્યથી બાજ નથી આવી રહ્યા. હવે આજે જામનગરના લાલપુરમાં એક નાની બાળકીને તેના જ કૌટુબિંક ભાઇએ પીંખી નાંખી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.

જામનગરના લાલપુરમાં બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. કૌટુંબિક ભાઈએ ૯ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરતા સમગ્ર ગામમાં ચકચાર મચી ગઇ છે. હાલમાં આરોપીની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના લાલપુર તાલુકામાં કુટુંબી ભાઈએ નવ વર્ષની બાળકી ઉપર બળાત્કાર કર્યો હતો. ગત રાત્રીના રોજ સગીરાના ઘરમાં કોઇ ન હોય કૌટુંબિક ભાઇએ પોતાની હવસ સંતાષવા પોતાની જ કૌટુંબિક બહેનની લાજ લુંટી લીધી હતી. અને બાદમાં આરોપી ભાઇ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. બાદમાં સગીરાએ પોતાના પરિવારજનોને આ વિશે જાણ કરી હતી. ત્યારે પરિવારજનો પણ સ્તબ્ધ થઇ ગયા હતા અને તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. અને આરોપી ભાઇ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. ફરિયાદના આધારે પોલીસે સગીરાનું મેડિકલ ચેક અપ કરાવ્યું હતું અને લાલપુર પોલીસે આરોપીની પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

(8:35 am IST)