Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જામનગરમાં નેત્રયજ્ઞ, બી.પી., ડાયાબીટીસ, એકયુપ્રેશર, તેમજ દંતચિકિત્‍સા કેમ્‍પ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા. ૩૦ : શ્રી ગાયત્રી શક્‍તિપીઠ જામનગર અને શ્રી રણછોડદાસજી બાપુ ચેરી. હોસ્‍પિટલ રાજકોટના સયુંકત ઉપક્રમે શરૂ સેક્‍શન રોડ, શિવમ પેટ્રોલપંપની પાછળ, માસ્‍તર સોસાયટી ખાતે આવેલ શ્રી ગાયત્રી શક્‍તિપીઠના ત્રિપદા ભવનમાં જનતાના લાભાર્થે વિનામૂલ્‍યે શ્રી સદગુરુ સુપર મેગા નેત્રમણી નેત્રયજ્ઞ ( ઓપરેશન સુવિધા સાથે)નું આયોજન બુધવાર તા. ૦૫-૧૦ સવારે ૯  થી ૧૨ વાગ્‍યા દરમ્‍યાન કરવામાં આવેલું છે. આ વિનામૂલ્‍યે નેત્રયજ્ઞમાં શ્રી સદગુરુ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પિટલ રાજકોટના નિષ્‍ણાંત ડોક્‍ટર તથા સ્‍ટાફ પોતાનું યોગદાન આપશે. આ વિનામૂલ્‍યે શ્રી સદગુરુ નેત્રયજ્ઞમાં આંખના રોગોનું નિદાન કરી, જરૂરિયાતવાળા મોતિયાના દર્દાને શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્‍પીટલની બસમાં લઇ જઈ આધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનું વિનામૂલ્‍યે ઓપરેશન કરી આપવામાં આવશે. તથા વિનામૂલ્‍યે નેત્રમણી પણ બેસાડી આપવામાં આવશે. દર્દીને રહેવા, જમવા, ચા - પાણી, નાસ્‍તો, ચશ્‍માં, દવા, ટીપાં મફત આપવામાં આવશે. ઓપરેશન થયા બાદ દર્દીને શ્રી ગાયત્રી શક્‍તિપીઠ જામનગરના કેમ્‍પના સ્‍થળે પરત મુકવાની વ્‍યવસ્‍થા પણ રાજકોટની હોસ્‍પિટલ તરફથી કરવામાં આવશે.

આ દિવસે શ્રી ગાયત્રી શક્‍તિપીઠ જામનગરમાં કાયમી ધોરણે ચાલતા એકયુપ્રેશર વિભાગ દ્વારા એકયુપ્રેશર કેમ્‍પનું પણ આયોજન કરવામાં આવેલું છે. જેમાં શરીરના કોઈપણ અંગના દુઃખાવા માટે એકયુપ્રેશર પધ્‍ધતિથી સારવાર આપવામાં આવશે. તેમજ લાયન્‍સ કલબ જામનગરના સહયોગથી ડાયાબીટીસ તથા બી.પી. ની. તપાસનો કેમ્‍પ પણ રાખેલ છે. તેમજ દાંતના દર્દો માટે ડો. કાજલબેન પટેલ (B.DS) તેમની સેવા આપશે. તો ઉપરોક્‍ત કેમ્‍પોનો લાભ લેવા માટે શ્રી ગાયત્રી શક્‍તિપીઠની યાદીમાં જણાવાયેલ છે.

(2:56 pm IST)