Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કોરોના કહેરને લઇ સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળા બાદ

કેશોદના અક્ષયનાથ મહાદેવ મંદિરે યોજાનાર ત્રિદિવસીય કાર્તિક પૂર્ણિમાં મેળો બંધ રહેશે

પ્રભાસ-પાટણ,તા.૨૦ : આરઝી હુકુમતના સરસેનાપતિ અને ગુજરાતના અગ્રણી રચનાત્મક કાર્યકર સ્વ. રતુભાઇ અદાણીની કમૂભૂમિ અને જુનાગઢ જીલ્લાના કેશોદથી પાંચ કીમી. દૂર આવેલા સોરઠ ક્ષય નિવારણ સમિતી સંચાલિત અક્ષયગઢ સંકુલમાં અક્ષયનાથ મહાદેવની સાનિધ્યમાં પ્રતિવર્ષ શરદપૂર્ણિમાએ યોજાતો ત્રિ-દીવસીય મેળો આ વર્ષે કોરોના સાવચેતીના ભાગરૂપે બંધ રાખવામાં આવ્યો છે.

સોમનાથ સ્થિત અક્ષયગઢ ટ્રસ્ટના અગ્રણી-ટ્રસ્ટી જયકરભાઇ ચોટાઇએ આ માહિતી આપતાં જણાવ્યું કે ''લોક આરોગ્યના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.''

આખા વિશ્વમાં આખા મંદિર સંકુલનું એક સ્થળ થી બીજા સ્થળે આખે-આખું મંદિર કે સ્થાપ્તય એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતર કરાયાના ત્રણ બનાવ નોંધાયેલ છે તેમાં અક્ષયનાથ એક છે.

સુરેન્દ્રનગરના ધાંગ્રધ્રા પાસે આવેલ રાજસિતાપુર ગામે શિલ્પની દ્રષ્ટિએ અનુપમ એવું એક ૨૦૦ વરસ જુનું મંદિર તળાવ પાળ પાસે કોઇ કારણોસર મુર્તિ સ્થાપન વગર જ અપૂજ સ્થિતીમાં બિસ્માર હતું જેને શિલ્પ સ્મૃધ્ધિના સંસ્કાર વારસાની જાળવણીના ઉદેશ સાથે આ મંદિરને મૂળ સ્થળે થી ૨૮૫ કિ.મી. દૂર અક્ષયગઢ સંકુલમાં પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું હતું.

આખા મંદિરના સ્થાપ્તય અવશેષોને માત્ર સવા બે વરસના ટુંકા ગાળામાં ૭૦ ફૂટ ઊંચા સંર્પૂણ સજાવટ સાથેના કેશોદના સૌન્દર્ય તીર્થ જેવા સ્થળે તે મંદિરના એક-એક પથ્થરને કાળજીપુર્વક ઉતરાવી તેના ઉપર નંબર આપી ટ્રક રસ્તે અક્ષયગઢ લાવવામાં આવ્યા હતા અને લગભગ ત્રણ વરસની જાત દેખરેખથી બેનમુન મંદિર બન્યું અને તા. ૬,૭,૮, ૧૯૮૧ના રોજ તેની  પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. મંદિરની ઊંચાઇ ૭૦ ફૂટ અને કુલ વિસ્તાર નવ હજાર ચોરસ ફૂટ છે.

સોમનાથ વેરાવળ સ્થિત ટ્રસ્ટી જયકારભાઇ ચોટાઇ કહે છે ૧૯૮૨ થી પ્રતિવર્ષ શરદપૂર્ણિમાંએ અક્ષયગઢ ખાતે ત્રિ-દિવસીય મેળો યોજાય છે. જે એક વખત વાવાઝોડાને કારણે અને આ વરસે કોરોના સાવચેતીના કારણે આમ ઇતિહાસમા બે વાર આ મેળો બંધ રહેલો છે. ત્રણે દિવસ રાત્રીએ સોરઠ અને સુપ્રસિધ્ધ રાસ મંડળીઓ-લોકડાયરાના કાર્યક્રમો યોજાતા અને મેળો માણવા વેરાવળ કેશોદ- જૂનાગઢ થી લોકો આવતાં રહે છે.

(12:38 pm IST)