Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મોરબીના જેતપર રોડનું રૂ.141 કરોડનું ટેન્ડર મંજૂર, ટૂંક સમયમાં કામ પણ શરૂ થઈ જશે : બ્રિજેશભાઈ મેરજા.

રાજયમંત્રી બ્રિજેશભાઈ મેરજાના પ્રયાસો ફળ્યા

મોરબી પંથકના ખૂબ જ મહત્વના અને સીરામીક ઉદ્યોગની ધોરી નસ સમાન જેતપર, પીપળી રસ્તાની જરૂરીયાતની માંગણી સંતોષવામાં રાજયમંત્રી બ્રિજેશભાઈ  મેરજાને સફળતા મળી છે. રાજ્યના નાણાં વિભાગે રૂા.141કરોડના ટેન્ડરને બહાલી આપી છે ત્યારે માર્ગ અને મકાન વિભાગ તાત્કાલિક એજન્સી નકકી કરી, વર્કઓર્ડર આપી, ડિપોઝીટ ભરાવીને આ કામ તાબડતોડ હાથ ધરશે, તેમ રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ જણાવેલ છે.

મોરબી-માળીયા(મી)ના ધારાસભ્ય અને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ  મેરજાએ બજેટમાં મોરબી-પીપળીયા-જેતપુર-મચ્છુ ચારમાર્ગીય રસ્તો મંજુર કરાવ્યો હતો. ત્યારબાદ જુદા જુદા તબકકે આ રસ્તાનું પ્રાથમિક સર્વેક્ષણ, જમીન સંપાદન, રોડની મજબુતીકરણની ખેવના, સૈદ્ધાંતિક મંજુરી તથા વહીવટી મંજુરી સુધી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, કાર્યપાલક ઇજનેર અધિક્ષક ઇજનેર તથા મુખ્ય ઇજનેર તેમજ માર્ગ અને મકાન વિભાગના સચિવ સુધી સતત ફોલોઅપ અને વખતોવખતના ઘનિષ્ઠ પ્રયાસો થકી આ રોડને ચારમાર્ગીય કરવાના કામને ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા રૂા.141 કરોડના ખર્ચે ટેન્ડર મંજુર કર્યુ છે.
લાંબા સમયથી આ પંથકના લોકોની આતુરતાનો અંત આવ્યો છે જે માટે બ્રિજેશ મેરજાએ કરેલ સખત અને સતત મહેનતને સીરામીક ઉદ્યોગના અગ્રણીઓએ વધાવીને ખાસ અભિનંદન આપ્યા છે, તેમજ આ રોડ ઉપર આવતાં ગામડાઓના આગેવાનોએ આ રસ્તો ચારમાર્ગીય કરવાના પ્રયાસોને મળેલ સફળતા બદલ બ્રિજેશભાઈ  મેરજાનો આભાર માન્યો છે, અને આવનારા દિવસોમાં યુદ્ધના ધોરણે આ કામગીરી ચાલુ રાખીને લોકોને વહેલામાં વહેલી તકે ચારમાર્ગીય રસ્તાની સુવિધા મળી રહે તે માટે બ્રિજેશ મેરજા સતત જાગૃત રહેશે તેવો પ્રજાને કોલ પણ આપેલ છે.

(1:00 am IST)