Gujarati News

Gujarati News

News of Wednesday, 17th January 2018

ભાવનગરના તબીબો ભારત-પાકિસ્તાન બોર્ડર સુધી ૪૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાએ જશે

ર૦ થી રપ જાન્યુઆરી દરમિયાન ભાવનગરથી નડાબેટ (ભારત-પાક બોર્ડ) સુધી ૪૦૦ કિ. મી. સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવન શૈલી સાયકલ યાત્રાઃ ર૬ મીએ જવાનો સાથે ગણતંત્ર દિનની ઉજવણી કરશે

ભાવનગર તા. ૧૭ :.. સરકારી મેડીકલ કોલેજ ભાવનગર, ભાવનગર મેડીકલ એસોસીએશન, નેશનલ મેડીકોઝ ઓર્ગેનાઇઝેશન ભાવનગર યુનિટ તેમજ શિવમ ચેરીટેબલ ટ્રસટ અમદાવાદ અને ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન ભાવનગર બ્રાંચના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયના નાગરીકોમાં હૃદયરોગ, હાઇ બ્લડ પ્રેસર, ડાયાબીટીસ, કેન્સર, ડીપ્રેશન, મોટાપો, હાડકા નબળા પડવા જેવા ગંભીર રોગો જે જીવન શૈલીના બદલાવ સાથે સંકળાયેલા છે એ રોગોને અટકાવવા માટે જરૂરી  સ્વસ્થ જીવનશૈલી પ્રત્યે જાગૃતિ લાવવા માટે તેમજ તબીબો અને હોસ્પિટલો સાથે દર્દીઓ તથા સગાઓ દ્વારા હિંસક હૂમલાઓ અટકે તેમજ તબીબી વ્યવસાય પ્રત્યે સંવેદનશીલતા લોકોમાં કેળવાય તેવા શુભ હેતુથી ભાવનગરના તબીબો દ્વારા ભાવનગરથી નડાબેટ (ભારત-પાક) બોર્ડર સુધી તા. ર૦ થી તા. રપ જાન્યુઆરી દરમિયાન સ્વામી વિવેકાનંદ સ્વસ્થ જીવનશૈલી  સાયકલ યાત્રા કુલ ૪૦૦ કીલો મીટરનું હેતુ પૂર્ણ  આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોકત કાર્યક્રમ દરમિયાન તબીબો જે જે સ્થાને રાત્રી રોકાણ કરશે તે સ્થાનો પર મેડીકલ કેમ્પ તેમજ સઘન રસીકરણ - મિશન ઇન્દ્રધનુષ અંગે પણ જનજાગૃતિ કાર્યક્રમ કરવામાં આવશે. તા. રપ જાન્યુઆરીએ ભાવનગરના તબીબો ભારત-પાક બોર્ડરની છેલ્લી ચોકી નડાબેટ ખાતે બી. એસ. એફ.ના જવાનોનું હેલ્થ ચેક-અપ કરવામાં આવશે તેમજ પર્ણકૂટીના છોડનું  વિતરણ જવાનોને કરવામાં આવશે કારણ કે ત્યાં પથરીની બીમારી વધુ પ્રમાણમાં જાવા મળે છે.,

પર્ણકૂટી પથરીના રોગમાં ઉપયોગી અને તા. ર૬ ના રોજ જવાનો સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરી આ સાયકલ યાત્રાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. (પ-૧૪)

(2:09 pm IST)