Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

શિવરાજપુર બીચ ખાતે બે દિવસીય રમણીય રેતશિલ્પ મહોત્સવનો પ્રારંભ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવા, રેતમાં વિવિધ પ્રકારની શિલ્પો તૈયાર કરીને લોકોનું ધ્યાન આકર્ષીત કર્યુ

દેવભૂમિ દ્વારકા, તા.૨૮ : ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા બે દિવસીય રેતશિલ્પ મહોત્સવનો શિવરાજપુર બીચ ખાતે આજરોજ મહાનુભાવોના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.

 આ રેતશિલ્પ મહોત્સવમાં વિવિધ રેતશિલ્પકારોએ અદભુત પ્રકારના શિલ્પ બનાવીને પોતાની આગવી કળા પ્રદર્શિત કરી હતી. જેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

 શ્રીકૃષ્ણ-અર્જુન, દ્વારકાધીશ મંદિર, લાલ કિલ્લો, જી-૨૦ સિમ્બોલ, જલપરી, સોમનાથ મહાદેવ શિવલિંગ, હનુમાનજી, ઓખો જગથી નોખો તથા ગણેશજીની સુંદર પ્રતિકૃતિ બનાવી હતી.

 આ રેતશિલ્પ મહોત્સવની મુખ્ય થીમ રણ સંગ્રામ મધ્યે શ્રીકૃષ્ણાર્જુન છે. જે ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા અર્જુનને રણ સંગ્રામ સમયે ગીતા ઉપદેશ આપ્યો હતો તેનું નિદર્શન કરે છે. જે આગવી ભારતીય સંસ્કૃતિની ઝલક દર્શાવે છે.

 આ તકે લલિત કલા અકાદમીના સચિવ ટી.આર.દેસાઈએ જણાવ્યું હતું કે, 'ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી દ્વારા રેતસિલ્પ કલાકારોને પોતાની આગવી ઓળખ ઉજાગર કરવાની તક મળે તેમજ પ્રવાસન સાથળ શિવરાજપુર  ખાતે ફરવા આવતા સહેલાણીઓને ભારતીય સંસ્કૃતિ તથા રેતશિલ્પ કલા વધુ જાણકારી મળે તે હેતુથી મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે.'

 આ રેતશિલ્પ મહોત્સવમાં બહોળી સંખ્યામાં આવેલ સહેલાણીઓએ શિલ્પોનો લાહવો નિહાળ્યો હતો. અને શિલ્પકારોએ રેતમાં વિવિધ પ્રકારની શિલ્પો તૈયાર કરીને લોકોનું ધ્યાન આકર્ષીત કર્યું હતું.

 ઉલ્લેખનીય છે કે, ઓખા નગરપાલીકા પ્રમુખ ઉષાબહેન ગોહેલ, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન જેઠાભાઈ હાથિયા, ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ મીઠાપુરના આસિસ્ટન્ટ મેનેજર મુકેશ સોલંકી , ટી. સી.એસ.આર. ડી ના પ્રોગ્રામ મેનેજર રાણીબેન વિકમા તથા શિવરાજપુર બીચના મેનેજર વેરશી માણેક ઊપસ્થિત રહ્યા હતા.

 

(10:44 pm IST)