Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

પરમ અવ્યવસ્થાનું નામ પરમાત્મા : પૂ.મોરારીબાપુ

મહુવામા"માનસ માતુ ભવાની "રામકથાનો ચોથા દિવસે અનેક સંતોની ઉપસ્થિતિમાં વિરામ

રાજકોટ તા.૨૭ : મહુવાના ભવાની મંદિરના પ્રાંગણમાં અને માં ભવાનીની સંન્નીધિમાં ગવાઈ રહેલી "માનસ :માતુ ભવાની" રામકથા આજે ચોથા દિવસે સંતો, મહંતો અને અનેક ભાવિક ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં સંપન્ન થઈ.

પૂ. મોરારીબાપુએ કથા પ્રવાહને આગળ ધપાવતાં કહ્યું કે બાળક એ નિર્દોષતાનું પ્રતિક છે. આ પરમ અવસ્થાનું નામ પરમાત્મા છે. આ પરમાત્મા બાલ સ્વરૂપને ગણી શકીએ. જ્યાં બૌદ્ધિકતાનું કવચ પહેર્યું હોય ત્યાં નિર્દોષતાની ઓળખ થઈ શકતી નથી. આપણે જીવનમાં કોઈપણ હેતુ વગરનું કોઈ કાર્ય કરીએ ત્યારે ત્યાં અક્ષય પાત્ર કોઈને કોઈ રૂપમાં આવીને ઊભું રહેતું હોય છે. માં ભવાનીના સ્વરૂપોનું પ્રગટીકરણ કરતાં બાપુએ કહ્યું કે ભવાની માં અજન્માં છે, અનાદિ છે.એ સતિના રૂપમાં દક્ષની દીકરી છે પરંતુ માં પાર્વતીના રૂપમાં તે હિમાલયના પુત્રી છે. તેના કુલ નવ સ્વરૂપ છે માટે તે નવ દુર્ગા છે. જેમાં કન્યા, માં, પુત્રી, પત્ની, જગત જનની, સતી, પાર્વતી,આર્ત અધિકારી,કૃત કૃત્ય રુપા આમ કુલ નવ રૂપ છે. તે પરમશક્તિ છે,અવિનાશી, બ્રહ્મચારીણી છે.  માણસ નબળાઈઓનું પોટલું છે દરેકે પોતપોતાની કમજોરીઓને જાહેરમાં મૂકવી તે એક તપશ્ર્ચર્યા છે.આપણને વિધાતા કુસંગ ન કરાવે તેવી આશા સેવવી જોઈએ.આજે આપણી પાસે સાધનો છે પરંતુ શાંતિ નથી. કારણ કે સાધનોની જરૂર નથી સુમતિની જરૂર છે.તેની જગ્યાએ દરેક પાસે કુમતિ છે.

              આજની કથામાં ભવાની મંદિરના પૂજારીશ્રીઓનો સંતગણ તથા પુ.ધીરુબાપુ અને મોરબીના સુશ્રી તપસ્વી દીદી ઉપસ્થિત રહ્યાં હતાં

(6:17 pm IST)