Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

જામનગરમાં ૬પ વર્ષના સસરા વિજયભાઇ ભટ્ટની હત્યા કરનાર જમાઇ મનીષ જાનીની ધરપકડ

ઉપરની પ્રથમ તસ્વીરમાં મૃતક સસરા બીજી તસ્વીરમાં આરોપી જમાઇ તથા ત્રીજી તસ્વીર એસએસપી તથા નીચેની તસ્વીરમાં ઘટના સ્થળે લોકો નજરે પડે છે. (તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. રપ : જામનગરમાં સગા સસરાની હત્યા કરનાર જમાઇની પોલીસને ધરપકડ કરી લીધી છે.

જામનગર શહેરમાં મંગળવારે એક તરફ ચૂંટણીના વિજય સરઘસ અને વિજયસભા ચાલતી હતી. ત્યારે જ સસરાની જમાઈએ હત્યા કરવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી.

કાલાવડમાં રહેતા વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ નામના ૬૫ વર્ષીય વયોવૃદ્ધ મંગળવારે રાત્રે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૧૨ નજીક શ્રીનાથજી નામના ત્રણ માળના બિલ્ડિંગમાં રહેતા પોતાના જમાઈ મનિષ સુરેશભાઈ જાનીના ઘરે કાલાવડ થી આવ્યા હતા. વિજયભાઈના પુત્ર સચિને નવું મકાન બનાવ્યું હોવાથી તેના મકાનના વાસ્તા નું પોતાની પુત્રી ફાલ્ગુનીને નિમંત્રણ આપવા માટે આવ્યા હતા.

જે દરમ્યાન  સસરા અને જમાઇ વચ્ચે કોઈ ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલા જમાઈ મનીષ જાનીએ પોતાના સસરા વિજયભાઈ ભટ્ટ પર ઈંટ વડે હુમલો કરી દીધો હતો અને આ માથાકૂટમાં ભારે રકતસ્રાવ થવાથી વિજયભાઈ નું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.આ ઝઘડામાં સામ સામે ઝપાઝપી થઈ હતી.

જેમા જમાઇ મનીષને  આંખના ભાગે સામાન્ય ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો હતો. આ બનાવની જાણ થતા જ  ૧૦૮ એમ્બ્યુલન્સ નો સ્ટાફ  ઘટના સ્થળે દોડી ગયો હતો. પરંતુ વિજયભાઈ ભટ્ટનું મૃત્યુ નિપજયું હોવાનું જાણવા મળતા આ બનાવ હત્યામાં પલટાયો હતો.

જેથી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરાઇ હતી.જેથી પોલીસ કાફલો પણ દોડી આવ્યો હતો. અને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી.

જામનગર શહેરના ખ્લ્ભ્ નિતેશ પાંડેના જણાવ્યા પ્રમાણે પોલીસે મૃતક વિજયભાઈ ભટ્ટના ભત્રીજા સંજય રમેશભાઈ ભટ્ટની ફરિયાદના આધારે આરોપી મનીષ સુરેશભાઈ જાની સામે આઇપીસી કલમ ૩૦૨ અને જી પી એકટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો, અને જી.જી.હોસ્પિટલમાં તેમની પ્રાથમિક સારવાર કરાવી અટકાયત કરી લીધી છે.  હવે તેની કોવિડ ટેસ્ટની કાર્યવાહી કરાઈ છે.

(1:06 pm IST)