Gujarati News

Gujarati News

News of Wednesday, 24th November 2021

શાપર-વેરાવળના નિલેશ સોંદરવાની હત્યા કરનાર બે મિત્રો સહિત ત્રણની શોધખોળ

કેશોદના બાલાગામનો ચિરાગ જોશી અને જીજ્ઞેશ કોળી મૃતક નિલેશની લાશ ફેંકતા હોવાના સીસીટીવી ફુટેજ મળ્યાઃ આરોપી પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે

રાજકોટ, તા. ૨૪ :. શાપર-વેરાવળના યુવકની હત્યા કરનાર બે મિત્રો સહિત ૩ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આરોપીઓ પકડાયા બાદ હત્યાનું કારણ બહાર આવશે.

મળતી વિગતો મુજબ શાપર-વેરાવળ પાસે શિતળા માતાના મંદિર પાસેના અંડરબ્રીજના ડીવાઈડર પાસે નિલેશ દેવશીભાઈ સોંદરવા (ઉ.વ. ૨૩) રહે. સર્વોદય સોસાયટી વેરાવળની લોહીલુહાણ હાલતમાં લાશ મળતા ફોરેન્સીક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ હતી. પીએમ રીપોર્ટમાં નિલેશની હત્યા થયાનું ખુલતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

પોલીસ તપાસમાં મૃતક નિલેશ આગલી રાત્રે તેના બે મિત્રો ચિરાગ રાજેશભાઈ જોશી રહે. બાલાગામ, તા. કેશોદ તથા જીજ્ઞેશ ઉર્ફે ભયલી કાનાભાઈ કોળી રહે. બાલાગામ, તા. કેશોદ સાથે જોવા મળ્યા હોવાની હકીકત મળતા પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે સીસીટીવી ફુટેજ ચકાસતા મૃતક નિલેશની લાશને રીક્ષામાં પારડીના અંડરબ્રીજ પાસે ચિરાગ અને જીજ્ઞેશ સહિત ત્રણ શખ્સો ફેંકતા હોવાનુ નજરે પડયુ હતુ. પોલીસે મૃતકના ભાઈ સાગરની ફરીયાદ પરથી ઉકત ત્રણેય શખ્સો સામે હત્યા સહિતની કલમો તળે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે.

  પોલીસના જણાવ્યા મુજબ અપરણીત મૃતક નિલેશ ભાડેથી રીક્ષા ચલાવતો હતો અને છૂટક મજુરી કામ પણ કરતો હતો. મૃતક નિલેશ પરિવારમાં બે ભાઈઓ અને બે બહેનોમાં સૌથી નાનો હતો અને તેના માતા-પિતા સાથે ૫ થી ૬ માસ પૂર્વે જ વેરાવળમાં રહેવા આવ્યા હતા.

નિલેશની હત્યા કરનાર તેના મિત્રો પકડાયા બાદ જ હત્યાનું કારણ બહાર આવશે. પોલીસે હત્યા કરનાર બે મિત્રો સહિત ત્રણેયની શોધખોળ હાથ ધરી છે.

(12:34 pm IST)