Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

ભાવનગરમાં ગટરનાં પાણીનો ઉપયોગ કરી હરિયાળા બગીચા બનાવાયા ! : આધુનિક સુએઝ પ્‍લાન્‍ટની મદદથી પાણીની સમસ્‍યાને પહોંચી વળવા ગ્રીન કેમ્‍પસ દ્વારા પ્રયાસો કરાયા

જમીનમાથી પાણી ઉલેચ્‍યા વગર જ ભાવનગરની પી.એન.આર. સોસાયટી દ્વારા 5000 જેટલા નાના-મોટા ઝાડ ઉગાડી તેમજ બગીચા બનાવી પાણીદાર કામ કરાયુ

ભાવનગરઃ ભાવનગરની પી.એન.આર. સોસાયટી નામની સંસ્‍થા દ્વારા જમીનમાથી પાણીનુ એક પણ ટીપુ ઉલેચ્‍યા વગર 5000 જેટલા ઝાડનુ વાવેતર કરી તેમાથી તેમને લીલાછમ બનાવ્‍યા છે. તેમજ બગીચાઓ બનાવી તેમણે પાણીદાર કામ કરી બતાવ્‍યુ છે. ત્‍યારે સંસ્‍થાએ પાણીનો વેડફાટ ન થાય તે હેતુથી સુએઝ પ્‍લાન્‍ટ કાર્યરત કર્યુ હતુ. જેની મદદથી તેમણે હજારો લિટર ગટરનુ પાણી સુધ્‍ધ કરી ચારે તરફ હરીયાળી ફેલાવી છે.

ગટરના પાણીમાંથી અફલાતુન ગ્રીનરીનો પાણીદાર પ્રયોગ ભાવનગરમાં હાથ ધરવામાં આવશે. શહેર, ઘર કે સંસ્થાને જો હરીયાળા બનાવવા હોય તો ઈચ્છા શક્તિ, માવજત અને જમીન, પાણીની જરૂર પડે. હવે વિચારો, ન તો કૂવા કે બોરનું પાણી કે ન તો મહાપાલિકા પાસેથી પાણી લીધેલું હોય, એટલે કે જમીનમાંથી ઉલેચ્યા જ ન હોય છતાં ૫૦૦૦ જેટલા નાના-મોટા વૃક્ષો અને આખા કેમ્પસમાં ઘાસની હરિયાળી હોય તો આશ્ચર્ય થાય જ, આવું પાણીદાર કામ ભાવનગરની સંસ્થા પીએનઆર સોસાયટીએ કરી બતાવ્યું છે.

સંસ્થાના ટ્રસ્ટી બાબાભાઈ શાહ જણાવે છે કે, દિવ્યાંગો માટે દસકાઓથી કામ કરી રહેલી આ સંસ્થાના નટરાજ કેમ્પસ માટે સરકાર દ્વારા મળેલી ખાડા-ટેકરાં, ઝાડી-ઝાંખરાંવાળી આ ૬ એકર જમીનને લીલીછમ બનાવવી અને પર્યાવરણની જાળવણી કરવી તે સંસ્થાનું સ્વપ્ન હતું. આ સ્વપ્નને સાકાર કરવા વર્ષ 2012ના ગાળામાં અહીં લીમડો, ગુલમહોર, નાળીયેરી, આંબા, પામ તથા અન્ય નાના-મોટાં વૃક્ષો વાવ્યા. શહેરનું ગૌરીશંકર તળાવ તો બાજુમાં જ હતું અને પાણીનું તળ પણ સારું હતું.

જો કે તેમ છતા પણ પર્યાવરણ માટે પર્યાવરણને એટલે કે જળસંતુલનને નુકસાન તે યોગ્ય ન લાગ્યું આથી ગટરના પાણીને શુધ્ધ કરી ફરી વાપરવાલાયક બનાવતો ૨૫૦૦૦ લીટરનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અહીં દાતાઓના સહયોગથી મૂકાયો હતો. તે પછી તો આ સંકુલમાં ઓટીઝમ સ્કૂલ, ફિઝીયોથેરાપી સેન્ટર, ઈન્ક્લૂઝીવ સ્કૂલ, પ્રિવેન્શનલ પ્રોગ્રામ સેન્ટર, દિવ્યાંગ બાળકોની હોસ્ટેલ વિગેર પણ શરૂ થયા અને સંસ્થાનો વિકાસ થયો, આ સાથે પાણીની જરૂરિયાત ૪૦૦૦૦ લીટરની થઈ. જનરલ સેક્રેટરી પારસભાઈ શાહ કહે છે કે આ પાણીનો વપરાશ તો જરૂરી પછી તે પરંતુ તે ગટરમાં જાય તે કેમ ચાલે ? જૂનો પ્લાન્ટ પરત કરી નવો આધુનિક ટેક્નોલોજી સાથેનો ૫૦૦૦૦ લીટરની કેપેસીટીવાળો નવો આધુનિક સુએઝ પ્લાન્ટ ફેબ્રુઆરી ૨૦૨૨માં કાર્યરત કરાયો છે.

સંસ્થાના પ્રમુખ શશીભાઈ વાધર જણાવે છે કે, એક ટીપું પાણી પણ વ્યર્થ ન જવું જોઈએ તે અમારો ઉદ્દેશ છે‌. અહીં ચોતરફ લીલાછમ વૃક્ષો અને હરિયાળા બગીચા જોવા મળે છે પરંતુ તે ઉજર્યા છે ગટરના પાણીમાંથી. ૧૦ વર્ષમાં જમીનમાંથી જળનું એક ટીપું પણ ઉલેચ્યા વગર અહીં હરિયાળી હિલોળાં લઈ રહી છે. આજે જ્યારે વૃક્ષો અને વનની જરૂરિયાત છે અને જળની ગંભીરતા વિશ્વભરને સમજાઈ ગઈ છે ત્યારે જળની જાળવણી સાથેનો ગટરના પાણીમાંથી બનેલો આ ગ્રીન કેમ્પસ ઉદાહરણરૂપ છે.

(5:19 pm IST)