Gujarati News

Gujarati News

News of Friday, 24th June 2022

અમરેલી જીલ્લામાં શાળા પ્રવેશોત્‍સવમાં નારણભાઇ કાછડીયા-કૌશીકભાઇ વેકરીયાની ઉપસ્‍થિતિ

ગુજરાત સરકાર દ્વારા  ત્રણ દિવસ સુધી આયોજીત કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત  તાલુકાના ગાવડકા, દેવરાજીયા અને સાજીયાવદર ગામે અમરેલીના સાંસદ નારણભાઇ કાછડીયા અને જીલ્લા ભાજપ અધ્‍યક્ષ કૌશીકભાઇ  વેકરીયાએ બાળકોને વિવિધ ભેટ આપી શાળામાં નામાંકન અર્થે પ્રોત્‍સાહીત કર્યા હતા. આ તકે સાંસદશ્રીએ વાલીઓ અને બાળકોને સંબોધીત કરવા જણાવેલ હતા કે શિક્ષણ એટલે  જન્‍મથી માંડીને મરણ સુધીના બધા વાતાવરણની અસરો, બધા પ્રકારની કેળવણી, બધી શિસ્‍ત અને બધી સંસ્‍કૃતિઓનો સરવાળો. ગુજરાત રાજયના તત્‍કાલીન મુખ્‍યમંત્રી અને વર્તમાન આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીજી દ્રારા વર્ષ-ર૦૦૩ થી કન્‍યા કેળવણી અને શાળા પ્રવેશોત્‍સવના કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. જે અંતર્ગત આજે આપણા મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના નેતૃત્‍વમાં સમગ્ર રાજયમાં તા. ર૩ થી રપ જુન સુધી કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ-ર૦રર નું આયોજન થયેલ છે ત્‍યારે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્‍વાસ અને સૌનો પ્રયાસ સુત્રને સાર્થક કરી - દરેક સમાજને સાથે જોડીને છેલ્લા ર૦ વર્ષના અવિરત પ્રયાસોથી આપણે ગુજરાતમાં નામાંકન દર ૧૦૦ ટકા સુધી પહોચ્‍યો છે. જે બદલ સાંસદશ્રીએ વરિષ્ઠ નેતૃત્‍વ, સંસ્‍થાઓ, આગેવાનો, વાલીઓ અને શિક્ષકો સૌનો આભાર વ્‍યકત કરેલ હતો.(તસ્‍વીરઃ અહેવાલઃ અરવિંદ નિર્મળ-અમરેલી)

(1:03 pm IST)