Gujarati News

Gujarati News

News of Tuesday, 21st September 2021

મોરબીના સાદુરકા ગામે પતિનો અગ્નિદાહ થાય તે પૂર્વે પત્નીએ અનંતની વાટ પકડી : સાદુળકાના ઝાલા પરિવાર સહિત સમગ્ર ગામમાં અરેરાટી!!

સ્મશાનયાત્રા ગામના ઝાંપે પહોંચી ત્યાં જ ધર્મપત્નીએ સાથે જીવવા સાથે મરવાનો કોલ નિભાવ્યો

મોરબી : દાંપત્યજીવનમાં સપ્તપદીના સાત ફેરા ફરતા સમયે ધાર્મિક વિધિ મુજબ પતિ પત્ની સાથે જીવવાના પ્રણ લેવડાવવામાં આવતા હોય છે ત્યારે સપ્તપદીના સાત વચનથી પણ આગળ આઠમું વચન નિભાવી મોરબીના નાના એવા સાદુળકા ગામમાં પતિના અવસાન બાદ સ્મશાન યાત્રા ગામના ઝાંપા સુધી પહોંચે તે પહેલાં જ પત્નીએ દેહત્યાગ કરતા ઝાલા પરિવારમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકામાં સાદુંળકા ગામે રહેતા પથુભા ચકુભા ઝાલાનું અવસાન થતાં આજે સવારે તેમની સ્મશાન યાત્રા નીકળી હતી. પરંતુ પથુભાને અગ્નિદાહ આપાય તે પૂર્વે જ સ્મશાન યાત્રા હજુ ગામના ઝાંપા સુધી પહોંચી ત્યાં જ દામ્પત્યજીવનમાં સાથે જીવવા સાથે મરવાનો જાણે કોલ આપ્યો હોય તેમ પથુભાના પત્ની વિલાસબા ઝાલાએ પણ અનંતની વાટ પકડતા ઝાલા પરિવાર અને સાદુળકા ગામા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

(11:24 am IST)