Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

હવાઇ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે નવા અધ્યાયની શરૂઆત

વિજયભાઇ રૂપાણી અને કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત વર્ચ્યુઅલ ફલેગ ઓફ કરીને કરાવી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૨૧ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભાવનગર ખાતે નવી શરૂ થયેલી ફલાઇટના શુભારંભ પ્રસંગે કહ્યું કે, ભાવનગર માટે નવો અધ્યાય લખાયો છે. ગુજરાતની વિકાસની નવી ઉંચાઇઓને આંબી રહ્યું છે તેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા એક સાથે ૩ વિમાની કનેકિટવિટી રાજયને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મળી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, કનેકિટવિટી વિકાસને આગળ વધારે છે, જયાં કનેકિટવિટી ઘટે છે ત્યાં વિકાસ રૃંધાય છે. આ મહત્વને પારખીને રાજય સરકારે વધુને વધુ એરપોર્ટ અને એરસ્ટ્રીપ વિકસાવીને રાજયની ક્ષમતાને વિશ્વ ફલક પર લઈ જવાં માટે વધુને વધુ કનેકિટવિટી પર ભાર મૂકયો છે.

ભાવનગર એરપોર્ટ ખાતેથી દિલ્હી, સુરત અને મુંબઇની સ્પાઇસ જેટની નવી સીધી વિમાની સેવાની શરૂઆત ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જયોતિરાદિત્ય સિંધિયા (દિલ્હીથી વર્ચ્યુઅલ રીતે ) સાથે ફલેગ ઓફ કરાવતાં તેમણે કહ્યું કે, આ અગાઉ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના પ્રયત્નોથી ભાવનગરના ઘોઘાથી દહેજ સુધી રો-રો ફેરી અને ઘોઘા થી સુરતની રો-પેક્ષ ફેરીની શરૂઆત દરિયાઈ માર્ગે કરાવી હતી અને હવે ભાવનગરથી સીધા દિલ્હી અને મુંબઈ હવાઈ સેવાની શરૂઆત થઈ રહી છે.

ભાવનગર શહેર જમીન માર્ગ, જળમાર્ગથી જોડાયેલું તો હતું જ, હવે આજથી હવાઈ માર્ગે પણ જોડાઈ ગયું છે. આમ, ત્રણેય પ્રકારની યાતાયાતથી હવે ભાવનગર જોડાઇ ગયું છે.

તેમણે કહ્યું કે, ગુજરાતી ન માત્ર એર કનેકિટવિટી વિકસિત કરી છે પરંતુ રોડ-રસ્તા રેલવે એમ તમામ પ્રકારની કનેકિટવિટી વિકસિત કરી છે. રાજયમાં ૧૬ એરપોર્ટ કાર્યરત છે. આ ઉપરાંત પાણીમાં પણ સી- પ્લેન માટે બે એરોડ્રામ વિકસિત કર્યા છે. તેના દ્વારા ગુજરાતના પવિત્ર યાત્રાધામો અને કેવડિયા જેવાં પ્રવાસધામોને પણ જોડીને વિકાસના દ્વાર ખોલ્યાં છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી જયોતિરાદિત્ય સિંધિયાએ જણાવ્યું કે, 'વોકલ ફોર લોકલ' અને 'ગ્લોબલ ટૂ લોકલ'ની બંને વિચારધારાનો સમય ભાવનગરમાં જોવાં મળે છે. ભાવનગર એ અતિ પ્રાચીન શહેર છે અને ભાવનગરની કલાકારીગરી એટલી પ્રખ્યાત છે કે દુબઈમાં યોજાતાં જવેલરીના પ્રદર્શનમાં ભાવનગરના સોનીઓની મોટી માંગ રહે છે.

તેમણે કહ્યું કે, ભાવનગર સાંસ્કૃતિક, પર્યટન ઉદ્યોગમાં અલગ ક્ષમતા અને કાબેલીયત ધરાવે છે અને તેને વિશ્વ ફલક પર ઉજાગર કરવાનું મહત્વપૂર્ણ અંગ કનેકિટવિટી છે. પોતાના વેપાર- ધંધાને વિકસાવવા માટે પોઇન્ટ ટૂ પોઇંટ કનેકિટવિટી મળે તે ખૂબ જ અગત્યની બાબત છે.

તેમણે કહ્યું કે, પહેલાં લાગતું હતું કે હવાઇ સેવા એ ફકત અમીરો માટે છે પરંતુ હવે એ યાત્રા સામાન્ય લોકો પણ કરી શકે તેવા અર્થતંત્રને વિકસિત કરીને તેનું પ્રજાતંત્રીકરણ કરી દીધું છે. પહેલાં દેશમાં ૭૦ એરપોર્ટ હતાં. આજે દેશમાં ૧૩૬ એરપોર્ટ દ્વારા એર કનેકિટવિટી પૂરી પાડવામાં આવે છે.

આ અવસરે કેન્દ્રીય ઉડ્ડયન રાજયમંત્રીશ્રી જનરલ ડો. વી.કે.સિંહે જણાવ્યું કે, ભાવનગર સને ૧૭૨૪ માં ભાવસિંહજી દ્વારા સ્થાપિત વેપારનું કેન્દ્ર તે જમાનામાં પણ હતું. એર કનેકટીવીટી વધતાં તેમાં વધારો થશે.

સાંસદ આર.સી પાટીલે સૂરતમાં વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને વધુ ફલાઇટ શરુ કરવાં માંગ કરી એક સમયે ફલાઇટ સેવા માટે આંદોલન કરવું પડતું હતું અને આજે ગુજરાતને એક જ દિવસમાં ત્રણ ફલાઇટ મળી રહી છે તેનો આનંદ વ્યકત કર્યો હતો.

સાંસદ ભારતીબેન શિયાળે ભાવનગરની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે. આ સેવાથી ભાવનગરના વિકાસના દ્વારા ખૂલી જશે તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, વાયબ્રન્ટ ગુજરાતની શ્રૃંખલાને પરિણામે પૂરાં વિશ્વના લોકો ગુજરાતમાં રોકાણ કરવાં આવે છે. જેનાથી રોજગાર વધવાં સાથે રોજગારમાં પણ વૃધ્ધિ થઇ છે. આજે રોજગાર આપવામાં ગુજરાત દેશમાં નં. ૧ છે.

શિક્ષણ રાજય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું કે, ભાવનગર એક સાંસ્કૃતિક નગરી છે. અહીં અનેક મંદિરો આવેલાં છે. કાળિયાર અભ્યારણ્ય પણ અહીં આવેલું છે. અલંગ શીપ બ્રેકિંગ યાર્ડ ભાવનગરમાં આવેલું છે ત્યારે ભાવનગરના લોકોને વિશ્વ સાથે કે દેશના ભાગો સાથે જોડાવાં માટે અમદાવાદ જવું પડતું હતું. હવે અહીંથી જ કનેકટીવીટી મળતાં લોકોની સગવડતામાં વૃધ્ધિ થઇ છે.

ધારાસભ્યી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ભાવનગર માટે આ નવું નજરાણું છે. ભાવનગર વિકાસની દિશામાં હકારાત્મક રીતે આગળ વધી રહ્યું છે ત્યારે આ એર કનેકટીવીટીથી ભાવનગર શહેરને અને જિલ્લાને મોટો ફાયદો થવાનો છે.

સ્પાઇસ જેટના ચેરમેન અજયસિંઘે સ્વાગત પ્રવચન કરીને આ ફલાઇટના પ્રથમ બોર્ડિંગ પાસ મહાનુભાવોને આપ્યાં હતાં. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન સચિવશ્રી પ્રદિપસિંહ ખરોલાએ આભારવિધી કરી હતી.

નોંધનીય છે કે,દિલ્હી અને મુંબઈ વિમાની સેવાનો શુભારંભ થયા બાદ આવતીકાલથી સુરત માટેની પણ વિમાની સેવાની શરૂઆત કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભાવનગર થી દિલ્હી અને મુંબઈની ફલાઈટ મંગળવાર અને શનિવાર સિવાયના બધા દિવસો દરમિયાન ચાલશે. આ ઉપરાંત ભાવનગર થી સુરતની ફલાઈટ ગુરૂવાર, શનિવાર અને રવિવારના દિવસોએ ચાલશે.

આ અવસરે ભાવનગરના મેયર  કીર્તિબેન દાણીધારીયા, કેશુભાઇ નાકરાણી, આર.સી.મકવાણા, ભાજપાના જિલ્લા અધ્યક્ષ મુકેશ લંગાળીયા, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન નાયબ સચિવ ઉષા પાઢી, મ્યુનિસિપલ કમિશનર એમ.એ ગાંધી, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જીલોવા, જિલ્લાના પદાધિકારીઓ- અધિકારીઓ તથા ભાવનગર વાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:13 am IST)