Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

કોરોનાની લડાઇમાં માનસિક હળવાશ મહત્વની દવા : કોવિડ -૧૯ના ભય સામે પોઝીટીવ રહેવા ભુજની જી.કે.ના મનોચિકિત્સકોનું માર્ગદર્શન

(વિનોદ ગાલા દ્વારા)ભુજ,તા. ૨૧: ગુજરાતીમાં કહેવત છે કે, 'સાપ નથી મારતો પણ તેનો ભય મારે છે.' એ અર્થ આજકાલ કોરોનાના રિકવરી રેટ(સાજા થવાનું પ્રમાણ) પ્રોત્સાહક હોવા છતા ચારે બાજુ કોરોનાના વાતાવરણે ભાઇનો માહોલ ખડો કરી દીધો છે. ત્યારે અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના મનોચિકિત્સા વિભાગે આ વિષય ઉપર સકારાત્મક અને નકારાત્મક અસર થાય છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને પોઝિટિવ દિશામાં આગળ વધવા માર્ગદર્શન આપ્યું છે.

મનોચિકિત્સા (સાઇકિયાટ્રિક) વિભાગના તબીબે કહ્યું કે, માનસિક હળવાશ(રિલેકસેકશન) કોવિડ-૧૯ સામેની લડાઈમાં મહત્વની ઔષધિ છે. તે અંગે શું કરી શકાય એ બાબતે સિની. રેસિ. ડો. રિધ્ધિ ઠક્કરના જણાવ્યા અનુસાર વર્તમાનમાં જીવવું પડશે. ભૂતકાળ અને ભવિષ્ય વિશે વધુ પડતું વિચારવાને બદલે અત્યારે જે છે તેને જોતાં રહેવું જરૂરી છે.

આ બધુ કરવું સહેલું નથી. ત્યારે શું કરવું તે અંગે તેમણે કહ્યું કે, જો ભય લાગતો હોય તો આસપાસની દુનિયાને એવી રીતે જુઓ જાણે તમે પ્રથમ વખત જુઓ છો, એટલું જ નહીં તમારો શ્વાસ અંદર-બહાર થાય એ પણ અનુભવો અને દરેક શ્વાસ પરત્વે સભાન હોવું જરૂરી છે. એટ્લે જ ધ્યાન અને યોગને મહત્વ આપવામાં આવે છે. આમ કરવાથી તણાવ કયાં ગાયબ થઈ જશે એ ખબર નહીં પડે.

પોઝિટીવ રહેવા માટે કોરોનાના સમાચારો જાણવા માટે અખબારો જોવા વાચવા બધુ બરોબર છે. પણ સતત વાગોળવા કરતા એમાથી ધ્યાન હટાવી કયારેક ટી.વી કે યુ-ટ્યુબ તથા સોશિયલ મીડિયા ઉપર આવતા હાસ્યના ફુવારા માણી શકાય. હસવાનું પણ એટલું જ અગત્યનું છે. જેથી તમે ઘણી હળવાશ ભોગવશો. આજે તો ઘરમાં બેસવાનો સમય મળ્યો છે ત્યારે પેટભરીને કુટુંબ સાથે આનંદ માણો નહીં તો કોરોના છે તેના કરતાં પણ મોટો બની જશે.

હા, આટલું કરવાની સાથે એ ચોક્ક્સ ધ્યાનમાં રાખવું પડશે કે, કોરોનાની ગાઈડલાઇનનું સજ્જડ પાલન કરીએ. સમય આવે એટ્લે વેકિસન લેવાની, માસ્ક તો હવે આ કોરોનાકાળમાં અભિન્ન અંગ બની ગયું છે. વારંવાર હાથ ધોવા, બજારમાં વસ્તુ ખરીદીએ ત્યારે ચોક્કસ અંતર જાળવી ખરીદી કરવી, સામેની વ્યકિતએ માસ્ક ન પહેર્યું હોય તો તેને માસ્ક પહેરવા વિનંતી કરીએ, આ બધા નિયમો સાથે સજાગ બનીશું અને સકારાત્મક રહેવાથી ભય દૂર થઈ જશે. એ ખબર પણ નહીં પડે....તેમ છતા કોરોના થાય તો લડી લેવાનો જોશરૂપી અભિગમ મદદરૂપ બનશે.

વધુ માર્ગદર્શન માટે જી.કે.ના ઓપીડી વિભાગ ક્રમ નં. ૬૦માં મનોચિકિત્સકનો સંપર્ક કરવો.

(12:08 pm IST)