Gujarati News

Gujarati News

News of Wednesday, 21st February 2018

ડાંગની સગીરાને સગા મામાએ જ ભાવનગરના પીથલપુરમાં વેંચી દીધા બાદ સામુહીક દુષ્કર્મ

બે વર્ષ દરમિયાન ૫ જેટલા શખ્સોએ કુકર્મ આચરતા ફરિયાદ

ભાવનગર તા.૨૧: મુળ ડાંગ આહવા વિસ્તારમાં રહેતી આદિવાસી સગીરા કે જે હાલમાં પુખ્તવયની થઇ ચુકી છે. તેણીએ ભાવનગર ઘોઘા રોડ પોલીસ મથકમાં પોતાની સાથે છ શખ્સોએ દુષ્કર્મ આચાર્યાની પોલીસ ફરીયાદ નોંધાવતા એસ.સી.એસ.ટી.સેલના ડી.વાય.એસ.પી.એ. આ સમગ્ર બનાવની તપાસ હાથ ધરી છે. અને ધોરણસરની કાર્યવાહી કરી છે.

આ ચકચારી બનાવની જાણવા મળેલ વિગતો મુજબ ડાંગ આહવા જિલ્લામાં રહેતી સગીરા શહેરના ઘોઘા રોડ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે, આજથી બે વર્ષ પુર્વે તેના જ ગામની બાજુમાં રહેતા તેના કૌટુંબિક સગા મામા મોહનીયાએ તેણીને તળાજા તાલુકાના પીથલપુર ગામે રહેતા ભાવેશ લાધવા અને તેની પત્ની કમુબેન લાધવા નામના દંપતીને રોકડ રકમ લઇને વેચી હતી. ત્યારબાદ ભાવેશ લાધવા અને તેની પત્નીએ સગીરાને આહવાથી લાવી પીથલપુરના પોતાના ઘરે ગોંધી રાખ્યા બાદ તળાજા તાલુકાના જ મંગેળા ગામે રહેતા મહેશ નામના યુવાનને પૈસા લઇને વેચી હતી. ભાવેશ સાથે રહેતી હતી તે દરમ્યાન ભાવેશે દુષ્કર્મ આચર્યુ હતું. થોડા સમય બાદ તેણી તળાજા મજુરી કામ કરતી હતી ત્યારે મંગેળા ગામના જ સુખદેવ જોગીએ તેણીને બાઇક ઉપર બેસાડી સુરત લઇ ગયો હતો. સુરત કપાસ વીણવાનું મજુરી કામે રાખી ત્યાં સુખદેવ જોગીએ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું અને થોડા દિવસો પછી ફરી પીથલપુર લાવી ભાવેશ લાધવાને સોંપી હતી.

ભાવેશ લાધવાએ તે પછી આ સગીરાને સોડવદરાના હિંમત ઉર્ફે ટીણા પાસેથી પૈસા લઇ લગ્ન કરાવી દેવાનું કહી મોકલી હતી અને તેણે દાઠા તાબેના રેલીયા ગામ રહેતા હર્ષદ બાબર સાથે ગોપનાથ મંદિરમાં હાર પહેરાવી લગ્ન કરાવ્યા હતા. હાર પહેરાવી લગ્ન કર્યા બાદ હર્ષદ બાબરે પણ અદિવાસી યુવતી (હાલ ૧૮ વર્ષ પુર્ણ થયા હોય) સાથે ઇચ્છા વિરૂધ્ધ  દુષ્કર્મ આચર્યુ હતું. આ અંગે યુવતીએ ગઇકાલે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં પાંચ શખ્સોએ ઇચ્છા વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યા સહિત સાત સામે વિવિધ ગુના હેઠળ ફરિયાદ નોંધાવતા ઘોઘા રોડ પોલીસે એસસીએસટી સેલના ડીયવાયએસપીને નિયમ મુજબ તપાસ સુપ્રત કરતા ધોરણસરની આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.    

ઉલ્લેખનીય છે કે, આદિવાસી અને પછાત વિસ્તારમાંથી આ રીતે સગીરાઓને લાવીને વેચવાનો ધંધો માત્ર ભાવનગર જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે. લગ્ન કરાયા બાદ ઘરસસાર સુખરૂપ ચાલતા હોવાના પણ કેટલાક કિસ્સાઓ છે તો કેટલાક કિસ્સાઓમાં આવી યુવતીઓ-સગીરા ઘરમાં હાથફેરો કરીને ભાગી જતી હોય છે જો કે, આ ઘટનામાં કંઇક જુદુ જ બન્યું છે.

(11:33 am IST)