Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

ગોંડલ પાસે એસટી બસ સહીત ૪ વાહનો ઉપર રાત્રે પથ્થરમારોઃ ૪ ટીખળખોર પોલીસના સકંજામાં

લુંટારૂ ટોળકી ત્રાટકી હોવાની શંકાએ પોલીસે કોમ્બીંગ કર્યુ પણ નીકળ્યા ટીખળખોરો ! : રાત્રે હોટેલમાંથી જમી પરત ફરતી વેળાએ પથ્થરમારો કરી વાહનોમાં કાચ ફોડતા નાસભાગ મચી ગઇ'તી

રાજકોટ, તા., ૨૧: ગોંડલ પાસે નેશનલ હાઇવે ઉપર રાત્રે એસટી બસ સહીત ચાર વાહનો ઉપર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઇ હતી. લુંટારૂઓ ત્રાટકયાની શંકાએ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પણ પોલીસ તપાસમાં ચાર ટીખળખોરનું કૃત્ય હોવાનું ખુલતા ચારેયને દબોચી લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ નેશનલ હાઇવે ઉપર રામદ્વાર પાસે રાત્રીના  ૩ વાગ્યા આસપાસ એસટી બસ નં. જી.જે.૧૮ ઝેડ પ૦૦૫ ઉપર અચાનક પથ્થરમારો કરી કાચ ફોડી નાખતા ડ્રાઇવર આદર્શસિંહ ઇન્દ્રસિંહ સોલંકી રે. ફતેપુરએ બસ ઉભી રાખી પોલીસને જાણ કરતા સીટી પીઆઇ એસ.એમ.જાડેજા તથા હેડ કો. રાજભા ઝાલા સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ તપાસમાં એસટી બસ ઉપરાંત એક ટ્રક, એક કાર તથા આઇસરમાં પણ પથ્થરમારો થયાનું ખુલતા કોઇ લુંટારૂ ગેંગનું કારસ્તાન હોવાની શંકાએ પોલીસે આજુબાજુના વિસ્તારમાં કોમ્બીંગ કર્યુ હતું પણ કોઇ શખ્સો મળી  આવ્યા ન હતા.

દરમિયાન એસટી બસ સહીત ૪ વાહનોમાં પથ્થરમારો કરી તોડફોડ કરનાર નેશનલ હાઇવેની બાજુની સોસાયટીમાં રહેતા ટીખળખોરો હોવાનું ખુલતા પીઆઇ એસ.એમ.જાડેજા તથા સ્ટાફે આ ચારેય ટીખળખોરોને દબોચી લીધા હતા. ચારેય ટીખળખોરો રાત્રે હોટેલમાં જમી પરત ફરતા ભારે ટીખળી કરવાના હેતુથી ચારેય વાહનોમાં પથ્થરમારો કરી કાચ ફોડયા હતા. ગોંડલ પોલીસે ચારેયનો કોવીડ ટેસ્ટ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(1:31 pm IST)