Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

શ્રી ખોડલધામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણઃ ભાવિકોએ લાઈવ આરતીનો લ્હાવો લીધો

કોરોનાની મહામારીના પગલે નરેશભાઇ પટેલ અને તેની ટીમ દ્વારા સાદગી પૂર્ણ ઉજવણી : વ્હેલી સવારે ભાવિકો ઘરે બેઠાં લાઈવ આરતીના દર્શન કરી મા ખોડલનું પૂજન કર્યું

રાજકોટઃ ૨૧ જાન્યુઆરીનો દિવસ દર વર્ષે ખોડલધામ માટે મહત્વનો હોય છે. ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે શ્રી ખોડલધામ મંદિરમાં મા ખોડલ સહિત ૨૧ દેવી-દેવતાઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. શ્રી ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ચાર વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.   લાખો ભકતોએ આ લાઈવ આરતીનો લ્હાવો લીધો હતો.

 ૨૧ જાન્યુઆરીએ દર વર્ષે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા ધામધૂમથી પાટોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે અને મોટી સંખ્યામાં ભાવિકો મા ખોડલના દર્શનાર્થે ઉમટી પડતાં હોય છે. પરંતુ આ વર્ષે મહામારીના કારણે લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થવું હિતાવહ ન હોવાથી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેનશ્રી નરેશભાઈ પટેલ અને ટ્રસ્ટીમંડળ દ્વારા પાટોત્સવની સાદગીપૂર્ણ રીતે ઉજવણી કરવાનું નક્કી કરાયું હતું. જેથી મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચાર વર્ષ પૂર્ણ થવાના અવસરે લાઈવ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાઈવ આરતી શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ઓફિશિયલ ફેસબુક પેઈજ, યુટ્યુબ ચેનલ અને વેબસાઈટ પર આજે ૬-૧૫ કલાકે લાઈવ કરવામાં આવી હતી. લાઈવ આરતીનો લાખો ભકતોએ ઘરે બેઠાં લ્હાવો લીધો હતો અને મા ખોડલના દર્શન કરી પાટોત્સવની ઉજવણી કરી હતી.

ભકતોએ ઘરે જ મા ખોડલનું પૂજન પણ કર્યું હતું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા સર્વે ભકતોને આહ્વાન કરવામાં આવ્યું હતું કે સૌએ દ્યરે જ મા ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને કંકુ અને ચોખાથી ચાંદલો કરવો, ત્યારબાદ મા ખોડલને ચુંદડી પહેરાવવી અને ફૂલનો હાર અર્પણ કરવો. ત્યારબાદ મા ખોડલને પ્રસાદ ધરીને દિવો પ્રગટાવી પૂજન કરવું. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના આ આહ્વાનને ઝીલી ભકતોએ ખોડલની મૂર્તિ કે છબીનું સ્થાપન કરીને પૂજન કરી આશીર્વાદ લીધા હતા.

(11:52 am IST)