Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

જામનગરમાં સીઝનનો ૧૦૬ ટકા વરસાદ નોંધાયો

બાર મહિના સુધી પાણીની તંગી નહીં સર્જાય : જામજોધપુરમાં ૯૭.૭૭ ટકા, જોડિયામાં ૯૮.૨૬ ટકા, ધ્રોલમાં ૧૧૬ ટકા અને લાલપુરમાં ૮૮.૨૮ ટકા વરસાદ

જામનગર,તા.૨૦ : છેલ્લા કેટલાક દિવસથી રાજ્યભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખાસ કરીને મેઘરાજા સૌરાષ્ટ પર ભારે મહેરબાન હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રના તમામ જળાશયો છલકાઇ ગયા છે. તો નદીઓ બે કાંઠે વહેવા લાગી છે. ખાસ કરીને હાલાર પંથકમાં મેઘરાજાએ એવો હેત વરસાવ્યો કે તમામ નદી-નાળા ચેકડેમ છલોછલ ભરી દીધા છે.

હાલારમાં એક સપ્તાહમાં એટલો વરસાદ પડ્યો કે સીઝનનો સરેરાશ ૧૦૭ ટકા વરસાદ પડી ગયો છે. જામનગર જિલ્લામાં એક સમયે દુષ્કાળના ડાકલા વાગી રહ્યાં હતા. ચોમાસુ સીઝન પૂર્ણતાને આવી ગઇ ત્યાં સુધીમાં માત્ર ૩૪ ટકા વરસાદ નોંધાયો હતો. નદી-ચેકડેમ અને ડેમોના તળિયા દેખાવા લાગ્યા હતા. ધરતીપુત્રો વર્ષ નિષ્ફળ ગયું હોય એવું વિચારીને માથે હાથ દઇને રડવાની તૈયારી કરી રહ્યાં હતા પરંતુ અચાનક વરુણ દેવતા રાજી થઇ ગયા અને ભાદરવામાં મેઘસવારી આવી પહોંચી. એક બે દિવસમાં એટલો વરસાદ પડ્યો કે ચારે બાજુ પાણી પાણી કરી નાખ્યું. એક રાતમાં સરેરાશ ૧૨થી ૨૦ ઇંચ વરસાદ પડી ગયો. ચાલુ વર્ષે જામનગરમાં સરેરાશ ૧૦૬ ટકા વરસાદ નોંધાયો છે.

જેમાં શહેરમાં ૫૩૩ મીમી એટલે કે ૨૨ ઇંચ વરસાદ પડ્યો છે. સિવાય જો જામનગરના તાલુકામાં નોંધાયેલા વરસાદ પર નજર કરીએ તો કાલાવડમાં ૧૮૧.૫૫ ટકા, જામજોધપુરમાં ૯૭.૭૭ ટકા, જોડિયામાં ૯૮.૨૬ ટકા, ધ્રોલમાં ૧૧૬ ટકા અને લાલપુરમાં ૮૮.૨૮ ટકા વરસાદ નોંધાયો છે. સિવાય જિલ્લાના જળાશયોની વાત કરીએ તો જિલ્લામાં કુલ ૨૫ જળાશયો આવેલા છે જેમાંથી હાલ માત્ર બે ડેમ છલકાવવાના બાકી છે જેમાં ડાઇમિણસાર અને વનાણાં ડેમનો સમાવેશ થાય છે. સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે જિલ્લામાં તમામ જળશયો મળીને કુલ ૧૦,૪૧૦ મી. ક્યુસેક ફૂટ પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે. આટલો પાણીનો જથ્થો એક અંદાજ પ્રમાણે એક વર્ષ સુધી ચાલે તેટલો છે.

(9:12 pm IST)