Gujarati News

Gujarati News

News of Friday, 20th May 2022

હળવદ દુર્ઘટનામાં કારખાનેદાર સહિત ૮ સામે ગુન્‍હો

બીમ કોલમ વગર ઉંચી દિવાલ ચણીને શ્રમિકોના જીવ જોખમમાં મુક્‍યા - બાળ શ્રમિકોને પણ કામે રાખ્‍યાનો ફરિયાદમાં ઉલ્લેખ : ભૂપેન્‍દ્રભાઇ પટેલે ૩ દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કર્યો'તો

(પ્રવિણ વ્‍યાસ - દિપક જાની દ્વારા) મોરબી - હળવદ તા. ૨૦ : મોરબી જિલ્લાના હળવદ જીઆઇડીસીમાં સાગર સોલ્‍ટ ફેકટરીમાં દિવાલ પડતા ૧૨ વ્‍યકિતના મોતની ઘટનામાં કારખાનેદાર સહિત ૮ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

આ પ્રકરણમાં બીમ કોલમ વગર ઉંચી દિવાલ ચણીને શ્રમિકોના જીવ જોખમમાં મુક્‍યા હોવાનું તથા બાળ શ્રમિકોને પણ કામે રાખ્‍યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.

હળવદ જીઆઈડીસીમાં મીઠાના કારખાનામાં દીવાલ પડતા ૧૨ - ૧૨ શ્રમિકોના મૃત્‍યુ મામલે અંતે હળવદ પોલીસ મથકમાં કારખાનાના ભાગીદારો, મહેતાજી, સુપરવાઈઝર સહિતના આઠ સામે તેમજ તપાસમાં ખુલ્લે તે ઈસમો વિરુદ્ધ ભારેખમ કલમો મુજબ ગુન્‍હો દાખલ થયો છે. આ દુર્ઘટનામાં પિતા અને બહેન ગુમાવનાર અને ઘટનાને નજરે જોનારા શ્રમિકની ફરિયાદને આધારે પોલીસે ગુન્‍હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પ્રાપ્ત વિગતો મુજબ હળવદ જીઆઈડીસીમાં આવેલ સાગર કેમ એન્‍ડ ફુડ સોલ્‍ટ ફેકટરીમાં ગત તા.૧૮ના રોજ બપોરના સમયે દીવાલ ધસી પડતા ૧૨ શ્રમિકોના મૃત્‍યુ મામલે આ ઘટનાને નજરો નજર નિહાળનાર અને પિતા તેમજ બેન ગુમાવનાર મૂળ કચ્‍છના રાપર તાલુકાના સવાઈ ગામના અને હાલ હળવદ ખાતે રહેતા રાજેશ ઉર્ફે લખુ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે પોલીસે કારખાનાના ભાગીદાર અફઝલભાઇ અલારખાભાઇ ઘોણીયા, રાજેશકુમાર મહેન્‍દ્રકુમાર જૈન, કિશનરામ લાલારામ ચૌધરી, દેવો ઉર્ફે વારીસ અલારખાભાઇ ઘોણીયા, આત્‍મારામ કિશનરામ ચૌધરી, સુપરવાઇઝર એકાઉન્‍ટન્‍ટ એવા સંજયભાઇ ચુનીલાલ ખત્રી, મનોજભાઇ રેવાભાઇ સનુરા, આસીફભાઇ નુરાભાઇ તથા તપાસમાં જે ખુલે તે વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ ગુન્‍હો નોંધ્‍યો છે.

વધુમાં ફરિયાદમાં જણાવાયું છે કે, સાગર કેમ એન્‍ડ ફુડ સોલ્‍ટના કારખાનાના ભાગીદારો દ્વારા પાયા ભર્યા વગર તથા બીમ કોલમ ભર્યા વગરની લાંબી તથા ઉંચી દીવાલ બનાવી પોતે તમામ જાણતા હોય કે દીવાલ નબળી છે છતા દીવાલની લગોલગ મીઠુ ભરેલ બોરીઓ દીવાલની ઉંચાઇ કરતા વધારે ઉંચાઇ સુધી બોરીઓની થપ્‍પીઓ કરાવી વધુ બોરીઓ તેજ થપ્‍પામાં નખાવવાનુ ચાલુ રાખતા દીવાલ ધસી પડતા રમેશભાઇ મેઘાભાઇ કોળી, દીલીપભાઇ રમેશભાઇ કોળી, શ્‍યામભાઇ રમેશભાઇ કોળી, દક્ષાબેન રમેશભાઇ કોળી, શીતલબેન દીલીપભાઇ કોળી, દીપક દીલીપભાઇ કોળી ઉ.૩, ડાયાભાઇ નાગજીભાઇ ભરવાડ, રાજીબેન ડાયાભાઇ ભરવાડ, દેવીબેન ડાયાભાઇ ભરવાડ, રમેશભાઇ નરશીભાઇ પીરાણા, કાજલબેન રમેશભાઇ પીરાણા અને રાજેશભાઇ જેરામભાઇ મકવાણાને માથાના તથા શરીર ના ભાગે ઇજા થતા મૃત્‍યુ થયેલ અને તેમજ સંજયભાઇ રમેશભાઇ કોળી તથા આશાબેન ડાયાભાઇ ભરવાડને શરીર ઉપર ગંભીર ઇજા થયેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ ગંભીર બનાવ મામલે પોલીસે રાજેશ રમેશભાઈ પીરાણાની ફરિયાદને આધારે કારખાનાના માલીક, સંચાલકો, સુપરવાઇઝર તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ જાણી જોઈને માનવ જીંદગી જોખમાઇ તે રીતે બેદરકારી, નિષ્‍કાળજી રાખવા ઉપરાંત બાળ શ્રમિકોને કામે રાખવા મામલે આઈપીસી કલમ ૩૦૪, ૩૦૮, ૧૧૪ તથા બાળ અને તરૂણ કામદાર પ્રતિબંધની કલમ ૩૩ તેમજ ૧૪ મુજબ ગુન્‍હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(11:46 am IST)